પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
છતાં યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
-રાજેન્દ્ર શુક્લ

(પક્ષી મરી ગયું) – મેહુલ પટેલ ‘ઈશ’

નાનકડી એક જગામાં પક્ષી મરી ગયું
રીબાઈ પાંજરામાં પક્ષી મરી ગયું !

ઘરમાં રહ્યું સુશોભન માટેની ચીજ થઇ
માણસની સરભરામાં પક્ષી મરી ગયું

બેઠું હતું મજાથી આંબાની ડાળ પર,
આવ્યું જ્યાં બંગલામાં પક્ષી મરી ગયું

કેવી હતાશા સાથે ઉગી સવાર આજ –
ભાણીએ કીધું મામા પક્ષી મરી ગયું

પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું

નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું

– મેહુલ પટેલ ‘ઈશ’

તમસા નદીમાં સ્નાન કરતી વખતે વાલ્મિકીની નજર સામે કોઈકે એક સારસનો વધ કર્યો અને સારસબેલડીમાં બચી ગયેલ પાત્રે માથું પટકી પટકીને પ્રાણત્યાગ કર્યા એ જોઈને ઋષિમુખેથી એક શ્લોક સરી પડ્યો અને રામાયણની રચના થઈ… આવી જ કોઈ ક્ષણે ઘરમાં પાળેલ પક્ષી અકસ્માત મૃત્યુ પામતાં આજના કવિના હૈયેથી એક ગઝલ સરી આવી છે… માણીએ…

4 Comments »

  1. JAFFER KASSAM said,

    January 4, 2019 @ 5:31 AM

    નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
    પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું

  2. pragnaju said,

    January 4, 2019 @ 8:03 AM

    કશાક પ્રબળ ભાવાવેગને કારણે કે કશાકથી અત્યન્ત પ્રભાવિત થઈ ગયા હોઈએ, ને આપણે કંઈક બોલવા જઈએ ત્યારે પ્રારમ્ભનો ભાગ આવી ભાવસ્થિતિને કારણે આવેલી અવાક્-તાને ભેદીને પ્રકટ થઈ શકતો નથી. આ કાવ્ય આવી જ એક ભાવદશામાં શરૂ થાય છે.
    નાનકડી એક જગામાં પક્ષી મરી ગયું
    રીબાઈ પાંજરામાં પક્ષી મરી ગયું !
    આ પ્રથમ પંક્તિ, આ અર્થમાં, કવિની વિશિષ્ટ ભાવદશાને કારણે આવેલી અવાક્-તામાંથી ધીમેથી ડોકું ઊંચું કરીને આપણી આગળ પ્રકટ થાય છે. એનો વાણીમાં ઉદય થાય તે પહેલાંનો મૌનનો પરિવેશ આ પંક્તિમાં અનુભવાય છે. આમ ભાવની એક વિશિષ્ટ આબોહવાનો અણસાર પ્રથમ પંક્તિમાં જ છે.
    અમેરિકામાં અભ્યાસ કરવાથી જોવા મળ્યું કે દર વર્ષે આવી રીતે ૧૦ કરોડ જેટલાં પક્ષીઓ મરે છે. મ્યુઝિયમમાં એ મરેલી ચકલીઓ જોવા મળે છે. એ હવે લુપ્ત થઈ ગઈ છે. આ આંકડો વધારે હોઈ શકે ! પણ કાગડા જેવું પંખી મરે ત્યારે કવિ રપાની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે તેમ આજે ઇશને
    નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
    પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું
    અન્તમાં કવિ ભાવોચ્છ્વાસની સ્થિતિમાં સરી પડે છે ને આ દ્વન્દ્વોનો ઉલ્લેખ કરે છે. એક અત્યન્ત કાવ્યોચિત વિષય, કવિની શક્તિઓને પડકારે એવો વિષય, કવિએ ઝડપ્યો તે માટે અભિનન્દન. કાવ્યમાં અન્તમાં કવિના ભાવોચ્છ્વાસની સાથે છાનો છાનો આ કવિતાનો પણ નિ:શ્વાસ રસિકને સંભળાશે

  3. Chitralekha Majmudar said,

    January 4, 2019 @ 10:12 AM

    Sad pathetic sensitive poem.

  4. જય કંટવાળા said,

    January 5, 2019 @ 12:45 AM

    ખૂબ સરસ ગઝલ મેહુલભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment