બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વિવેક મનહર ટેલર

સપનાં – કિરીટ ગોસ્વામી

કોને દઈએ આળ?
થાય તે બધું કરનારો તો આખર પેલો કાળ!

એક ઘડી પથરાળ
.          વળી, બીજી ફૂલોની ઢગલી…
સાવ સુકોમળ સપનાં,
.          ભીતર પાડે હળવે પગલી…
આંખ ખૂલે ત્યાં ઊઠે પાછી રોમે-રોમે ઝાળ!
.          કોને દઈએ આળ?

આજ સંત તો કાલે પાછું-
.          બાળક થઈને પજવે!
કેટકેટલા ભરે લબાચા-
.          મન પોતાના ગજવે!
સમજે તોય ત્યજી ક્યાં શકતું, માયાની મધલાળ!
.          કોને દઈએ આળ!

– કિરીટ ગોસ્વામી

ઘડી દુઃખ, ઘડી સુખ, ઘડી સુખના સપનાં ને અંખ ખુલતામાં રોમેરોમ પ્રજાળતી વાસ્તવિક્તાની આગ… કોના વાંકે? મુખડામાં બધા જ આળનો ટોપલો કાળના માથે ચડાવીને કવિ આગળ વધે છે પણ બીજા અંતરામાં ચોર પકડમાં આવે છે. મન ક્યારેક ત્યાગી તો ક્યારેક બાળકની જેમ બધી જ વસ્તુ માટે તીવ્ર અનુરાગી બની જાય છે. આ બધું જ માયા છે એ જાણવા છતાં મન ત્યાગી-ત્યજી શકતું નથી… ચોર પકડાઈ ગયો છે એટલે શરૂનો પ્રશ્ન કાવ્યાંતે પહોંચતા ઉદગાર ચિહ્નમાં પરિવર્તિત થઈ જાય છે…

2 Comments »

  1. Poonam said,

    December 28, 2017 @ 3:58 AM

    સમજે તોય ત્યજી ક્યાં શકતું, માયાની મધલાળ!
    . કોને દઈએ આળ!

    – કિરીટ ગોસ્વામી – mast…

  2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    December 28, 2017 @ 5:04 AM

    @કિરીટ ગોસ્વામી- અતિસુંદર ગીત!!

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment