બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.
વિવેક ટેલર

(લહેર પડી ગઈ, યાર!) – ચંદ્રકાંત બક્ષી

મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય

હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય

મહારોગ
કે
દેવું ન હોય

મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં

વ્હીસ્કીનો એક પેગ લઈને
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને
પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..

મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !

– ચંદ્રકાંત બક્ષી

ચંદ્રકાંત બક્ષી સિંહ જેવો માણસ હતો.  જીવનના રસને પીવામાં એમણે કોઈ કચાશ છોડી નહોતી. આવા માણસને કોઇ પૂછે કે સંપૂર્ણ જીવન એટલે શું? – તો આવો જવાબ મળે.

મોટી મોટી વાતો કરવાથી મોટી જીંદગી બનતી નથી. બધી નાની નાની વાતો બહુ જતનથી ભેગી કરવાથી જ એક મોટી જીંદગી બને છે.

(ચોખવટ: આ લખાણ બક્ષીસાહેબનું છે. પણ એમણે એ કવિતા તરીકે નહોતું લખ્યું. ‘બક્ષીનામા’ના એક લેખમાં આ વાત લખેલી. મને એમાં 100 ટકા કવિતા દેખાઇ એટલે એને કવિતા તરીકે રજૂ કરી છે. વાચકો આટલી ગુસ્તાખી ચલાવી લેશે એવી આશા રાખું છું. મારું માનવું છે કે જો બક્ષીબાબુને મેં આવું કર્યું છે એવી ખબર પડે તો એ ચોક્કસ એક ગાળ આપે અને પછી કહે, “જા તું ય કરી લે લહેર !” )

7 Comments »

  1. Shivani Shah said,

    December 20, 2017 @ 1:09 AM

    વાહ !

  2. વિવેક said,

    December 20, 2017 @ 2:03 AM

    વાહ ધવલ!

    કવિતા જ કહી શકાય… વામનની વ્યાખ્યા મુજબ : काव्यं गद्यं पद्यं च અને સાહિત્યદર્પણમાં વિશ્વનાથ પણ કહે છે: वाक्यं रसात्मकं काव्यम्|

  3. Jayshree Bhakta said,

    December 20, 2017 @ 3:31 AM

    લહેર પડી ગઈ, બાપુ! 🙂

  4. prakash mandvia said,

    December 20, 2017 @ 8:11 AM

    “જા તું ય કરી લે લહેર !”

  5. pragnaju vyas said,

    December 20, 2017 @ 1:05 PM

    ડૉ વિવેકના“ वाक्यं रसात्मकं काव्यम्” સમજવા પ્રયત્ન કરીએ.
    વાક્યમા કાવ્ય શરીર અને રસાત્મક મા કાવ્યનો આત્મા સમાયલો છે. આ રીતે કાવ્યાત્મા અને કાવ્યાત્મકતા બન્નેમા મહત્વનો રસ છે
    जो विभाव अनुभाव अरू, विभचारिणु करि होई।
    थिति की पूरन वासना, सुकवि कहत रस होई॥
    કાવ્ય પઠન , શ્રવણ , દર્શનમાં જે અલૌકિક આનંદ મળે છે તે કાવ્યમા રસ કહેવાય છે.રસમા જે ભાવની અનુભૂતિ થાય તે સ્થાયી ભાવ કહેવાય.રસ , છંદ અને અલંકાર એ કાવ્ય રચનાના આવશ્યક અવયવ છે.અનેક વિદ્વાનોએ આ રીતે પણ વ્યાખ્યા કરી છે
    “संक्षेपात् वाक्यमिष्टार्थव्यवच्छिन्ना, पदावली काव्यम्” (अग्निपुराण);
    “शरीरं तावदिष्टार्थव्यवच्छिन्ना पदावली” (दंडी)
    “ननु शब्दार्थों कायम्” (रुद्रट);
    “काव्य शब्दोयं गुणलंकार संस्कृतयो: शब्दार्थयोर्वर्तते” (वामन);
    “शब्दार्थशरीरम् तावत् काव्यम्” (आनंदवर्धन);
    “निर्दोषं गुणवत् काव्यं अलंकारैरलंकृतम् रसान्तितम्” (भोजराज);
    “तददोषौ शब्दार्थों सगुणावनलंकृती पुन: क्वापि” (मम्मट)
    “गुणालंकाररीतिरससहितौ दोषरहिती शब्दार्थों काव्यम्” (वाग्भट); और
    “निर्दोषा लक्षणवी सरीतिर्गुणभूषिता, सालंकाररसानेकवृत्तिर्भाक् काव्यशब्दभाक्” (जयदेव)।
    મારું મન
    વિપરીત સ્થિતિમાં પણ
    શાંત રહી શકતું હોય
    અને
    જીવનના છેલ્લા દિવસ
    સુધી બસ આટલું રહી શકે તો..

    મરતી વખતે હું કહીશ..
    લહેર પડી ગઈ, યાર !
    આનંદ આનંદ

  6. Pravin Shah said,

    December 20, 2017 @ 1:34 PM

    શુ કહુ ? બસ, લહેર પડી ગઈ !

  7. Jayendra Thakar said,

    December 20, 2017 @ 2:29 PM

    કુછ ગુજર ગઈ, કુછ ગુજર રહી હે, ઓર કુછ ગુજર જાયેગી.
    સોચાથા ચુમલું સારી ખુદાઈ, અબ બસ પ્યારી હય યહ જુદાઈ!
    જિવનમાં સરવાળો, બાદબાકી, ગુણાંકાર અને ભાગાકાર પછી જે રહ્યું તે રીજવી જાય તો લહેર જ લહેર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment