ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!
– નેહા પુરોહિત

બળાત્કાર ભોગ્યાના સોરઠા – વિજય રાજ્યગુરુ

ખેડી નાંખી જાંઘને, રેલ્યા ઘોડાપૂર,
મારે રોમે રોમ, કોંટા ફૂટ્યા કારમા!

કોંટા ફૂટ્યા કારમા, છાતી માથે આગ,
ના એ નો’તા હાથ, બળબળતા સૂરજ હતા!

બળબળતા સૂરજ છતાં, ઢળી બપોરે સાંજ,
નો’તા તીણા દાંત, ચટકા કાળી નાગના!

ચટકા કાળીનાગના, ચટ્ક્યા આઠે પોર,
ફણગ્યા શ્વાસેશ્વાસ, લીલાં-લીલાં ચામઠાં!

લીલાં-લીલાં ચામઠાં, આપી ‘ગ્યા નઘરોળ,
તીણે રે દંતાળ, ખેડી નાંખી જાંઘને!

– વિજય રાજ્યગુરુ

આપણી ભાષામાં ‘બળાત્કાર’ જેવા વિષય પર આવું કોઈ કાવ્ય પણ લખાયું છે એવી જાણ જ એક આંચકો આપી જાય એવી છે. કવિતા થોડી મુખર છે પણ અવગણી શકાય એવી નથી. આવા વિષય પર પણ આવી વેદનાસિક્ત કવિતા લખનાર કવિને એમની હિંમત માટે શાબાશી આપ્યા વિના કેમ રહી શકાય?

સોરઠાની રચના જાણે કે એક કુંડાળું રચે છે અને જાણે કે આ કુંડાળામાં કમનસીબ સ્ત્રીનો જાણે કે પગ ન પડી ગયો હોય! દરેક સોરઠાનું ચોથું ચરણ આગામી સોરઠાના પહેલા ચરણ તરીકે આવે છે અને પહેલા સોરઠાનું પહેલું ચરણ આખરી સોરઠાનું આખરી ચરણ બનીને આ કુંડાળાને પૂર્ણ કરે છે.

સ્ત્રીનું અસ્તિત્વ એક ખેતર હોય અને એને માત્ર હળ નહીં, આખું ઘોડાપૂર રગદોળી નાખે તો કેવી અસહાયતા અને વેદના થાય! રોમેરોમ કાંટા ફૂટી નીકળ્યા છે. છાતીને રગદોળતા એ હાથ હાથ નહીં, સાક્ષાત્ સૂરજ હોય એમ છાતીમાં આગ લાગી છે. સૂરજ મધ્યાહ્ને બળતો હોય અને બપોરે જિંદગીની સાંજ ઢળી જવાની વાતમાં ખરી કવિતા સિદ્ધ થાય છે. કાળીનાગના ચટકા જેવા દાંતોથી ભરવામાં આવેલ નિર્મમ બચકા આઠે પહોર ચટકી રહ્યા છે. બળાત્કારની વેદના તે કેમ કરીને ઓસરે? લીલાં ચામઠાં માત્ર શરીરે જ નહીં, જાણે શ્વાસેશ્વાસમાં ફણગી આવ્યાં છે. જે બિંદુથી કવિતા શરૂ થાય છે એ જ બિંદુ પર આવીને કવિતા પૂરી થાય છે ત્યારે આપણી અંદર કંઈક મરી પરવાર્યું હોવાનો તીવ્ર અહેસાસ જરૂર થાય છે.

6 Comments »

  1. harmonika panchmatia said,

    August 31, 2017 @ 3:52 AM

    સ્ત્રી હોવા ને લીધે સ્ત્રી ને થતી પીડા સહેજે સમજી શકાય. પણ શબ્દો માં વર્ણવી શકાય એ માત્ર કવિશ્રી એ સાબિત કર્યું…ખૂબ જ પીડાદાયક યાતના ને કાગળ પર ઉતારવા બદલ ખુબ આભાર

  2. Pravin Shah said,

    August 31, 2017 @ 6:21 AM

    શબ્દે શબ્દે નિતાન્ત પીડાદાયક અસહાયતા અને લાચારી નીતરે ચ્હે

    આવા subject પર આવુ સુન્દર કાવ્ય લખ્વુન સહેલુ નથી. કવિશ્રિને ખુબ ખુબ અભિનન્દન

  3. Shivani Shah said,

    August 31, 2017 @ 10:28 AM

    કાવ્ય કલમથી લખાયેલું છે કે કટારથી ?

    Gruesome !
    So much of hatred ?
    Do we have wrong role models or have they been misinterpreted ?
    Probably the episode of Draupadi’s ‘ ceerharan ‘ was an exaggeration of removal of each layer of her ego (and not her sari) as Yudhishthir kept losing one after another valuable possession to the game of chance and neither the strength of his brothers nor Draupadi’s begging could put a stop to the addiction of desire to win ? Did Lord Krishna keep increasing the length of her sari to save her or was it her unshakable faith in Him which kept increasing the thread of her courage till the game was over and the Pandavas had lost everything due to ‘ મંત્રેલા પાસા designed by Shakuni ?

    કહે છે કે દૌપદી યજ્ઞની વેદીમાંથી ઉદભવેલી. એ કોઈ પણ એવી અપમાનજનક ટકોર દુર્યોધન માટે કરે અને એનાથી પ્રેરિત થઈને દુર્યોધન ભરસભામાં આવું દુષ્કૃત્ય કરે અને ભિષ્મપિતા અને ધૃતરાષ્ટ્ર અને બીજા સમર્થ વડીલો આ બધું helpless/નિસહાય થઈને જોયા કરે એ 100% માનવામાં આવે એવી વાત છે ?
    હા, એટલું માની શકાય કે દુર્યોધનને આખું રાજ્ય જોઇતું હશે અને એમાં શકુનિનો ફાયદો હશે આથી ભોળા ધર્મરાજને ચોપાટ રમવા લોભાવ્યા હશે અને special dice બનાવડાવ્યા હશે … ભોળી, અભણ પ્રજાને અમુક દૂષણોથી દૂરરાખવા કદાચ દરેક પેઢીના વાર્તાકારોએ મૂળ વાતમાં યથાસમય ઉમેરો કર્યો હોય..These are mere suppositions..તુક્કા…and I could be totally wrong..

  4. Mansukhlal Gandhi said,

    August 31, 2017 @ 7:59 PM

    શબ્દે શબ્દે નિતાન્ત પીડાદાયક અસહાયતા અને લાચારી નીતરી રહે..સ્ત્રી હોવા ને લીધે સ્ત્રી ને થતી પીડા સહેજે સમજી શકાય. પણ શબ્દો માં વર્ણવી શકાય એ માત્ર કવિશ્રી એ સાબિત કર્યું…ખૂબ જ પીડાદાયક યાતના

  5. LaKant Thakkar said,

    September 1, 2017 @ 9:33 AM

    કવિશ્રી વિજય રાજ્યગુરુ…ની ચોટદાર કલ્પના માત્ર હોઈ શકે ખરી ? એ પ્રશ્ન થાય !!!
    “સંવેદના અનુભવથી તંતોતંત ભોગવીને/વેદીને જ ” આવું બયાન કરી શકાય !
    આ કોમ્પ્લીમેન્ટસ જ !
    સંદર્ભિત કોઈ
    ઘટના,વાત-મુદ્દા નાં અનુસંધાને …ગત જન્મના કોઈ સંસ્કાર અચાનક ચેતસમાં મનની સપાટી પર ઉપસી આવ્યા હોય,. આ તો વિજયભાઈ ખુલાસો કરે તોજ ખબર પડેને? સુરેશ દલાલની ” આમ કવિતા મ્હોરે છે ” યાદ આવે છે સહજ જ !

    “…ફણગ્યા શ્વાસેશ્વાસ,…” શું સૂચવે છે ? +”…સ્ત્રીનું અસ્તિત્વ એક ખેતર હોય …” + “…સાક્ષાત્ સૂરજ હોય એમ છાતીમાં આગ લાગી છે…” અન્ય/બીજી બાજુથી જોવાય તો ?!
    દૃષ્ટિ-સાપેક્ષતા પણ કામ કરે જ છે ને ? કોઈ પૂર્વ-નિર્ધારિત દૃષ્ટિબિંદુપ્પોર્વક “બાયસ્ડ માઇન્ડથી જ ન જોવાય તો ?
    સ્ત્રી ભોગવાય છે ત્યારે …. એ જો સહભાગી બની જાય તો ? પગ સહેજે પહોળા પણ થઈ જતા હોય છે …. અને આનંદની ચરમસીમા પણ અનુભવ શકાતે હોય છે ને ? ! એ પણ જુદું ચિત્ર દર્શાવી શકે ને? માત્ર કલ્પના-વિસ્તાર જ હોય તો ?.

  6. HARSHAD said,

    September 3, 2017 @ 9:51 AM

    Very Touching !! Felt the pain and suffering of raped woman.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment