આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
– આદિલ મન્સૂરી

યાદગાર મુક્તકો : ૧૨ : ગની દહીંવાળા, મનહર મોદી, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા

‘લયસ્તરો’ના બારમી વર્ષગાંઠ નિમિત્તે આદરેલી યાદગાર મુક્તકોની સફરનો આજે આ આખરી પડાવ… આપણી ભાષાના ઘણા બધા માતબર કવિઓના સર્વકાલીન શ્રેષ્ઠ મુક્તકો અમે સમયના અભાવે, વાચનની સીમિતતાના કારણે ચૂકી ગયા જ હોઈશું… પણ ઉજવણી અટકે છે, મુક્તકોનો આસ્વાદ નહીં… સમય-સમય પર એક-એકથી ચડિયાતાં મોતીનો ઝળહળાટ આપણે માણતા રહીશું…

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા, કેટલી રાતો !
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો;
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી,
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

છેડો પણ નજરે ન ચડે એવી વિપત્તિઓની વણઝારમાં જીવતરની મંજરી કાળના તાલમાં વાગે કે ન વાગે, વણઝારાનું કામ તો સર્વ સંજોગોમાં ગાવા ને ચાલતા-વધતા રહેવાનું જ છે. ‘ટાઇટનિક’ ફિલ્મના અંતે ડૂબતા જહાજની વચ્ચે પણ સંગીત વગાડવાની પોતાની ફરજને વળગી રહેતા સંગીતકારો યાદ આવી જાય…

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

મનહર મોદીનું આ મુક્તક આમ તો હઝલના કુળનું છે પણ એ લોકોની જીભે એ રીતે ચડી ગયું છે કે યાદગાર મુક્તકોની મહેફિલ એના વિના અધૂરી જ ગણાય… પાક્કી અમદાવાદી કવિતાનો આ આદર્શ દાખલો છે.

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

કેટલીક રચનામાં કી-વર્ડ નજરબહાર રહી જાય તો કવિતા એનો સાર ગુમાવી બેસે. ‘તારા રૂપની પૂનમની પાગલ એકલો’માં ‘એકલો’ શબ્દ પર ધ્યાન ન આપીએ તો કવિતા સાથેની મુલાકાત ચૂકી જવાય. એ જ રીતે આ મુક્તકમાં ‘સર્વ’ અને ‘સખત’ શબ્દ કી-વર્ડ્સ છે. આ બે શબ્દનો હાથ ઝાલતાં જ મુક્તકની તાકાત અલગ જ અનુભવાશે…

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

– હિતેન આનંદપરા

ઉપર ગનીચાચાના મુક્તકમાં જે વાત હતી, એ જ વાત હિતેનભાઈ લઈ આવ્યા છે. જિંદગીને પ્રેમથી સત્કારવા-સ્વીકારવાની પોઝિટિવિટિથી ભર્યું ભર્યું આ મુક્તક જીવનમાં ઉતારી લઈએ તો ફરિયાદ જ નહીં રહે…

2 Comments »

  1. KETAN YAJNIK said,

    December 22, 2016 @ 7:59 AM

    ગનીચાચા મનહરયું ને “દિલ તમોને આપતા આપી દીધું”

  2. Jigna shah said,

    December 22, 2016 @ 12:04 PM

    Hitenbhai nu muktak saras .
    Zindgi ne svikarvani vaat.
    Aahaa.

    Bina 3 muktak to saraj che.ena vishe ghanu kahevai gayu che…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment