રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
- મરીઝ

આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા (જન્મ: ૬ જુલાઇ ૧૯૪૩ – મૃત્યુ: ૨૭ ઓક્ટોબર ૨૦૦૩)

સંગીત-સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://tahuko.com/gaagar/layastaro/Manoj Khanderia-Kshano_Ne_Todva_Besu.mp3]

મનોજ ખંડેરિયાની શ્રેષ્ઠ ગઝલ શોધવી હોય તો નિમિષમાત્રમાં આ ગઝલ દોડતી આવે. ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફ, લગાગાગાના સુગેય આવર્તન ધરાવતી બહેર અને ક્ષણ અને વરસોના વિરોધાભાસથી અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક મ.ખ.ની ગઝલોનું એવરેસ્ટ છે.

એક તરફ ક્ષણની વાત અને બીજી બાજુ વરસોની વાત… કવિ શું કહી રહ્યા છે? જીવન ક્ષણોનો સરવાળો છે પણ બધી ક્ષણ કંઈ જીવન નથી હોતી. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જે મનુષ્યની જિંદગી આખી પલટી નાંખે છે. વાલિયો લૂંટારો એક ક્ષણમાં વાલ્મિકી બનવા તરફ પ્રેરાય છે તો બોધિવૃક્ષની નીચેની એક ક્ષણ સિદ્ધાર્થને બુદ્ધ બનાવે છે. રેલ્વેના ડબ્બામાંથી ફેંકાઈ જવાની એક ઘટના એક માણસને મહાત્મા ગાંધી બનાવે છે તો આવી જ કોઈ એક ક્ષણ પર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા કરી પોતાનો જાન ગુમાવી શકે છે કે બીજાનો જાન પણ લઈ શકે છે. આવી કિંમતી ક્ષણોને તોડીને એનું વિચ્છેદન કરવું હોય, આત્મનિરીક્ષણ કરવું હોય તો શું વરસોના વરસ નહીં લાગે ? આવી ક્ષણોના સરવાળા સમી જિંદગીને આપણે જેવી છે એવી ક્યાં જીવીએ જ છીએ ? એક ચહેરો અને એની ઉપર હજાર મહોરાં… બુકાની છોડવાનું કામ તો ક્ષણભરનું પણ છીએ તેવા દેખાવું હોય તો ? આપણી સાચી ઓળખાણ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો ? વાત ક્ષણની હોય કે બુકાનીની, વરસોના વરસ પણ કદાચ ઓછાં પડે…

…પણ બધા જ શેર વિશે વાત માંડવા બેસું તો વરસોના વરસ લાગે એટલે…

4 Comments »

  1. ibrahim kothari said,

    December 13, 2008 @ 3:55 AM

    wow Darbar wow…
    keep going Darbar
    halwa do bapu halwa do

  2. ધવલ said,

    December 13, 2008 @ 1:13 PM

    અવિસ્મરણીય ગઝલ…

  3. raksha said,

    April 9, 2010 @ 5:43 AM

    હા, પુરુશોત્તમભાઈ ને પણ માણ્યા. આભાર. લયસ્તરો ખુબ ગમે.

  4. bhupatsinh sarvaiya said,

    August 14, 2011 @ 3:35 PM

    આભાર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment