હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

મળે….- મુકુલ ચોકસી

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

– મુકુલ ચોકસી

કોઈક મિત્રએ ફેસબુક ઉપરથી આ ગઝલ મને ઈમેલ વડે મોકલી તો લોટરી લાગી હોય એમ કૂદ્યો હું. અંગત રીતે હું દ્રઢપણે માનું છું કે મુકુલભાઈ કોઈક કારણોસર કાવ્યસર્જનમાંથી અકાળે નિવૃત્ત થઈ ગયા છે, બાકી તેઓ નિ:શંકપણે ગુજરાતના ટોચના ત્રણ સર્જકમાં બિરાજતા હોતે. ઘણીવાર આ વાત તેઓને રૂબરૂમાં કીધી પણ છે. તેઓને કાવ્ય જેટલું સહજ છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ સર્જકને નસીબે હોય….

11 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    July 19, 2016 @ 5:11 AM

    દરેક શેર દમદાર !
    ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
    ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

  2. CHENAM SHUKLA said,

    July 19, 2016 @ 8:53 AM

    વાહ …દરેક શેર કેટલા સહેલાઈથી ગળે ઉતરે તેવા લખાયા છે

  3. Devika Dhruva said,

    July 19, 2016 @ 9:19 AM

    Totally agreed with Tirtheshbhai.

  4. Saryu Parikh said,

    July 19, 2016 @ 9:32 AM

    ્વાહ! નખશીખ સુંદર ગઝલ.
    સરયૂ

  5. Yogesh Shukla said,

    July 19, 2016 @ 11:23 PM

    બહુજ સરસ રચના અને તેમાં પણ આ શેર ,

    સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
    વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.,

  6. Maheshchandra Naik said,

    July 20, 2016 @ 2:09 AM

    SARAS,SARAS,SARAS…..

  7. વિવેક said,

    July 20, 2016 @ 3:30 AM

    તારી વાત સાથે સો ટકા સહમત… મુ.ચો. જેટલા ઓરિજિનલ કવિની સંખ્યા ગણવા બેસીએ તો આંગળીના વેઢા પણ વધારે પડે….

  8. KETAN YAJNIK said,

    July 20, 2016 @ 5:18 AM

    gami

  9. jigna trivedi said,

    July 31, 2016 @ 10:37 AM

    વાહ ! એકદમ સુંદર ગઝલ.

  10. Shah Babulal said,

    November 2, 2018 @ 7:37 AM

    What is the reason for a pendown?

  11. વિવેક said,

    November 3, 2018 @ 2:30 AM

    @ બાબુલાલ શાહ:
    એ તો કવિ જ જાણે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment