સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.
મનહરલાલ ચોક્સી

કેમ કરીને – જગદીશ જોષી

આટલા બધા સંબંધ : એને કેમ કરીને રાખું ?
શબરીની જેમ એક પછી એક બોરને જાણે ચાખું !

નહિ જાણું હું કઈ ઘડીએ આવશે છેવટ રામ
રાતાં રાતાં બોરની પાછળ ધબકે કોનું નામ ?

પહેલાં મને રામજી, ચાખો : લાગણી મારી લીલી
ઝૂંપડીની આસપાસમાં જુઓ, વાડી કેવી ખીલી !

રામજી ! આ તો તારી વાડી, ખીલ્યાં તારાં ઝાડ
બોરના કરું ઢગલા જાણી ફૂલના મ્હેકે પ્હાડ.

પ્હાડની પડખે રામજી ! તમે નદી થઈને વહો
લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !

– જગદીશ જોષી

એક તરફ શબરીને શબ્દાંકિત કરીને કવિ સહજતાથી માનવસંબંધોની વાત કરે છે અને સાથોસાથ જ માનવસંબંધોના ચિત્રણ વડે શબરીની પ્રતીક્ષાને પણ ઉજાગર કરે છે. નાનાવિધ સંબંધો તાણાવાણાની જેમ આપણા જીવતરના વસ્ત્રમાં વણાયેલા છે. પણ આ સંબંધોને આપણે ઉપરછલ્લા મૂલવવાના કે માણવા-જાણવાના નથી. શબરી એક-એક બોર ચાખતી હતી… એ દરેક બોરની સાથે એની અપાર રામભક્તિ અને અસીમ પ્રતીક્ષા સંકળાયેલ હતી. આપણે આપણા સંબંધોને આ પ્રમાણે મૂલવશું તો જ દરેક સંબંધમાં છૂપાયેલ ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય છે.

5 Comments »

  1. CHENAM SHUKLA said,

    July 8, 2016 @ 2:41 AM

    વાહ …એક અલગ જ ભાવની પ્રતીતિ કરાવતું ગીત

  2. નિનાદ અધ્યારુ said,

    July 8, 2016 @ 5:53 AM

    પ્હાડની પડખે રામજી ! તમે નદી થઈને વહો
    લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !

    અહો !

  3. KETAN YAJNIK said,

    July 8, 2016 @ 6:34 AM

    લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !
    ભાવ અને શબ્દ નું સામર્થ્ય

  4. Yogesh Shukla said,

    July 10, 2016 @ 2:21 PM

    સુંદર રચના , કાબિલે તારીફ ,,,,,,
    પહેલી પંક્તિ રામના નામે ,
    બીજી પંક્તિ સમાજ ને,

  5. Rakesh Thakkar, Vapi said,

    July 11, 2016 @ 5:43 AM

    સુંદર રચના!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment