હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
સુંદરમ્

ભીતરથી ભાવમય – સંજુ વાળા

ભવરણ તરી જે જાય તે ભીતરથી ભાવમય
બસ દૂરથી નિહાળી રહે નિજનો ક્ષય વિલય

જે ઓળખી જશે તે સદાકાળ હો અજય
રમવું દે સાથ તો રમે વક્તા અને વિષય

ભ્રમણા નથી રહી કે નથી ભાન પણ રહ્યું
કચડાય રોજ પગ તળે નિયતિ,નવા નિશ્ચય

દેખાઉં હેમખેમ એ બાહિક સ્વભાવ છે
અંદર ઉઠી રહ્યા છે કૈં આંસુભીના પ્રલય

સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય

ટ્રાફિકમાં ગૂંચવાય ગયો હે મહારથી !
સક્ષમ છે પાર કરવા તું વર્તુળ ‘ને વલય

દુર્ભાગ્ય આપણા કે સ્વીકારી શક્યા નહીં
નહિતર તો હાથવેંતમાં કાયમ રહે છે જય

– સંજુ વાળા

પ્રત્યેક શેરમાં ઊંડાણ છે – માત્ર એક ઉદાહરણ જોઈએ – ત્રીજો શેર – પ્રત્યેક વ્યક્તિ ઘણાબધા ‘હું – I ‘ નો બનેલો હોય છે. વ્યવહારમાં જ્યારે આપણે આપણી જાત માટે ‘ હું ‘ પ્રયોજતા હોઈએ છીએ ત્યારે તે એક ભ્રમણા હોય છે કે આપણે એક unified વ્યક્તિ છીએ. આપણી અંદર અસંખ્ય ભિન્ન ‘હું’ વસે છે અને સમયે સમયે વિભિન્ન ‘હું’ સપાટી ઉપર આવતા હોય છે. આ સંદર્ભ સાથે આ શેરનો આસ્વાદ કરવા વિનંતી….

1 Comment »

  1. VISHAL JOGRANA said,

    August 7, 2016 @ 5:07 AM

    દુર્ભાગ્ય આપણા કે સ્વીકારી શક્યા નહીં
    નહિતર તો હાથવેંતમાં કાયમ રહે છે જય

    ખૂબ સરસ રચના સર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment