ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!
અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિઅરહવ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે !
ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતીની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે !
કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!
– વીરુ પુરોહિત
અતિથિ દેવો ભવના આપણા સંસ્કાર વારસાને ગોપીઓ કેવી ચતુરાઈપૂર્વક પ્રયોજે છે તે જુઓ. કૃષ્ણનો સંદેશો લઈને મથુરા આવેલ ઉદ્ધવને અતિથિ ખાલી હાથે પાછો ન જઈ શકે એ સંસ્કાર આગળ કરીને ગોપીઓ પોતાને સહુને સાથે લઈ જવાની સોગઠી ફેંકે છે એ વાત રજૂ કરીને કવિ કેવું મજાનું ગીત આપણને આપે છે !
Suresh Shah said,
June 9, 2016 @ 3:15 AM
ખૂબ ભાવભીનું ગીત. આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
Neha said,
June 9, 2016 @ 4:42 AM
Aankh axari aanche dazi javaa ni vaat par kavitva eni charam sima e pahochyu…
waah kavi !
khub ziNu kantyu !!
aabhar layastaro.
KETAN YAJNIK said,
June 9, 2016 @ 5:03 AM
વિરહમાં મિલનની શોધ – “માધવ ક્યાય નથી મધુવનમાં” પ્ર્સ્તાવ્નાનું શીર્ષક ન રહેતા હકીકત બની રહે છે રૂદન બની રહે છે જેની પાસે છે,સાથે છે તેને જેની પાસે નાથે તે ન હોવાનો અહેસ્સાસ કરાવે છે
Bharat Trivedi said,
June 9, 2016 @ 7:53 AM
સુંદર ગીત. મજા આવી ગઈ !
chandresh said,
June 10, 2016 @ 5:07 AM
પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ
સરસ રચના
Nilesh Bandhiya said,
June 23, 2016 @ 12:55 AM
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે…
એકાદ મિનિટ તો આ લીટીથી આગળ જ જવાયું નહી…
અદભુત રચના…