હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

તારી સુવાસ – હરીન્દ્ર દવે

તારી  સુવાસ અંગ થકી  ઓસરી નથી,
આશ્લેષથી  તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ  કેમ  જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો  મેં  આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં  તો  હજી  બે પાંપણો ભેગી  કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ  લોકોએ  કદીય  મહોબ્બત  કરી નથી.

– હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવે કોમળતાના કવિ છે. એ જ્યારે પ્રેમ-ગઝલ લખે તો કેટલી ઋજુ બને એ જ જોવાનું રહે ! ‘એમનો વાંક ક્યાં / એ લોકોએ કદી મહોબ્બત કરી નથી’ એ ઈસુ ખ્રિસ્તના કે ગાંધીના મોઢે શોભે એવો ઉદ્દાત-મન શેર થયો છે. પણ મારો પ્રિય શેર એનાથી આગલો છે. પોતે હકીકત જાણતા હોવા છતા માત્ર પ્રિયજનના કહેવાથી એને સ્વપ્ન માની લેવાની તૈયારી એ નકરો પ્રેમ છે. કોઈની આંખમાં જોવાથી હકીકત અને શમણાં વચ્ચેની સરહદ ઓગળી જાય તેનાથી વધારે સાચી પ્રેમની વ્યાખ્યા કઈ હોઈ શકે ?

8 Comments »

  1. Jina said,

    November 3, 2008 @ 2:32 AM

    ફક્ત બે શબ્દો… વાહ વાહ!!!

  2. uravshi parekh said,

    November 3, 2008 @ 5:54 AM

    સરસ..
    આ રસ્તે આવવાની ઉતવળ કરો નહી.
    આન્ખો મે આખે રસ્તે પાથરી નથી.
    કેટલુ ધ્યાન રખાય છે.
    અને ગમતિ વ્યક્તિ નુ કહેવુ બધુ જ માની લેવય છે.
    પછી તે ભલે મનાય તેવુ હોય કે ન હોય…

  3. ઊર્મિ said,

    November 3, 2008 @ 9:20 AM

    My all-time favorite gazal…!

    બધા જ અશઆર એકદમ જક્કાસ છે…!

  4. pragnaju said,

    November 3, 2008 @ 10:36 AM

    એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
    એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
    ખૂબ સુંદર ગઝલનો આ ગમી જાય તેવો શેર

  5. Natver Mehta, Lake Hopatcong,NJ 07849 said,

    November 3, 2008 @ 10:55 AM

    વાહ!!
    શુભાનઅલ્લાહ!!
    આફરિન…આફરિન…આફરિન….!!
    હરિન્દ્રભાઇ એટલે ઋજુતાના આદમી..

    તારી વાત સનમ ક્યાં કોઈને કરી છે?
    મેં તો હર પળ બસ તને જ સ્મરી છે.

    પ્યાર કોને કહે કોને ખબર છે સખી..
    છું હું અવનિ ને તું જ મારી ધરી છે.

    નટવર મહેતા
    http://natvermehta.wordpress.com/

  6. ડૉ. મહેશ રાવલ said,

    November 3, 2008 @ 12:05 PM

    કસાયેલી કલમ સામાન્ય લાગતાં વિષયને,પોતાના કસબ વડે કેવી અસામાન્યતા બક્ષી શકે એ શ્રી હરીન્દ્ર દવે ની આ ગઝલથી પ્રતિત થાય છે.અને એટલું જ સુંદર અને સહજ રસદર્શન પણ સરાહનીય થયું છે.
    વાહ ધવલભાઈ!

  7. Dr.Vinod said,

    November 4, 2008 @ 7:32 AM

    વાહ વાહ અતિશય સુંદર ગઝલ . બધા જ શેર લાજવાબ છે
    સરળ શબ્દોમાં અસામાન્ય ભાવ વ્યક્ત કર્યો છે.
    ગમતી વ્યક્તિનું કેટલુ ધ્યાન રખાય છે !!
    મજા આવી ગઈ !!

  8. Pinki said,

    November 5, 2008 @ 2:56 AM

    વાહ્….
    મજાની ગઝલ
    ગીતોનો રાજા, ગઝલનો બાદશાહ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment