એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!
‘અગન’ રાજ્યગુરુ

દુષ્કાળ – અબ્દુલકરીમ શેખ

શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !

પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !

રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !

લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !

આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !

એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.

ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી !

– અબ્દુલકરીમ શેખ

‘દુષ્કાળ’ શીર્ષક વાંચતાવેંત આપણી નજર સામે વરસાદના લાં….બા અભાવે વેરાન વગડો થઈ ગયેલી જમીનો અને ભૂખે-તરસે ટળવળી ટળવળીને ઢગલો થઈ પથરાતી પશુ-પંખી-મનુષ્યોની લાશો આવી ઊભે. પણ આ કવિતા છે. કવિને અહીં અલગ પ્રકારના દુષ્કાળ જ અભિપ્રેત છે. કાવ્યસર્જનથી શરૂ કરીને, જીવતી લાશોથી ભરેલા આજના શહેર સુધી કવિ દુષ્કાળના જે નાનાવિધ ચિત્રો દોરી આપે છે એ ગુજરાતી ગઝલની એક અભૂતપૂર્વ સુખદ ઘટના છે.

7 Comments »

  1. NAREN said,

    March 26, 2016 @ 3:46 AM

    સુંદર ગઝલ

  2. KETAN YAJNIK said,

    March 26, 2016 @ 7:30 AM

    હવે તો ગીધ પણ ઇચ્છાઓની જ્યાફત્થો જ્યાફતોથી ઓચાઈ ગયું છે

  3. Saryu Parikh said,

    March 26, 2016 @ 6:03 PM

    વાહ! સચોટ રજુઆત.
    સરયૂ

  4. nehal said,

    March 27, 2016 @ 12:19 AM

    રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
    ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !

    લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
    કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !

    આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
    હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !

    Waah…bahu j vedhak rajuat..
    Kavi ne salaam! Layastaro ne abhinandan!

  5. aasifkhan said,

    March 27, 2016 @ 2:32 PM

    વાહ બહુ સરસ રચના

  6. rohit kapadia said,

    March 29, 2016 @ 7:42 AM

    કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી. જીવંત લાશો વિષે બહુ જ માર્મિક ટિપ્પણ .સરસ રચના

  7. kiran said,

    March 29, 2016 @ 8:18 AM

    પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
    સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !

    બહુજ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment