સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
– ગૌરાંગ ઠાકર

લા.ઠા. સાથે – ૦૫ – કાવ્યકંડુ

અને છતાં કાવ્યકંડુ
કાવ્યકંડુ ન હોત તો ચામડીનું ખરજવું
હોત એમ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે
અને કવિ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે
અને એને કોઈ પારિતોષિક આપે
તો આવો ભેદ-ભાવ શા માટે ?
હું કહું છું તો પછી ખરજવું કેમ સિદ્ધિ નહીં ? એની કેમ પ્રસિદ્ધિ નહીં ?
એનો કેમ પુરસ્કાર નહીં ?
કાવ્યનો પુરસ્કાર અને ખરજવાનો તિરસ્કાર ?
ક્રાન્તદૃષ્ટિ કપાઈ ગઈ છે મારા કાવ્યપુરુષની.
અને છતાં જોયું ને આ પત્રના શરીર પર ફરી વળી છે સાદ્યંત
કાવ્યખૂજલી ? આ વલૂરમાં કોઈ અનન્ય મીઠાશ આવે છે આ ક્ષણે.
સૂધબૂધ પણ વલુરાય છે ઘેનમાં. મારા શબ્દેશબ્દ પર બ્રહ્માની
આંગળીઓના વધેલા નખ એકધારા રમમાણ છે.

– લાભશંકર ઠાકર

‘નવનીત સમર્પણ’ના તે સમયના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈને પત્ર લખતા લખતા જે કંઈ આ રચાયું એના વિશે કવિ પોતે જે કહે છે એ એમની કાવ્યપ્રક્રિયા સમજવામાં મદદરૂપ છે. લા.ઠા. કહે છે, “Verbal Gameનું મોટામાં મોટું સુખ એ એકલાં એકલાં રમી શકાય છે, તે છે. એટલે ક્યારેક ક્યારેક એનું ખેંચાણ તીવ્રતાથી પણ થાય છે. કાવ્યની રચના પ્રક્રિયાના સંદર્ભમાં મારો અનુભવ કંઈક આ પ્રમાણે છે. ‘મૂડ’ હોય તો હું ‘વર્બલ ગેઇમ’ રમું છું. શા માટે ? એવી ચૈતસિક રુચિ (એપ્ટિટ્યુડ) છે. થોડા શબ્દો કે પંક્તિથી રમત આરંભાય. આ રમત કેવી કેવી આકૃતિઓ ધારણ કરશે ? રમત પૂરી થશે કે અપૂર્ણ રહેશે ? કંઈ કશી જાણ નથી હોતી. રમત શરૂ થતાં શબ્દો, પંક્તિઓ, લય રમતનાં નિયમો રચાતાં જાય છે અને હું એ નિયમોને વશ થતો જાઉં છું.

“કાવ્યવૃત્તિ તો થવાની. એ કેવળ ખેલકૂદ છે કે કોઈ ગંભીર પ્રવૃત્તિ છે ? ગંભીર એટલે ઊંડી. ઊંડાણમાં શું છે ? કદાચ કંઈ નથી. કદાચ કંઈ છે. કંઈ છે તો એને પામવાથી શું? ન પામવાથી શું ? અને આમ વિચારવાથી તો કશુંક જામે છે તે જામવાથી પણ શું ? પ્રશ્નોની અસંખ્ય હારમાળા અને અંત (અલબત્ત જીવનના) સુધી કોઈ ઉત્તર ન મળવો એવી સળંગ પ્રક્રિયા જેવું આ કાવ્ય -”

(કંડુ = ખરજવું)

4 Comments »

  1. ધવલ said,

    January 15, 2016 @ 8:51 AM

    પોતાની જાતને સમજવા સતત મથવુ એ પયગંબરોના બરની આદત છે.

  2. Ketan Yajnik said,

    January 15, 2016 @ 9:50 AM

    વલુંરવાની મઝા અને સજા

  3. vimala said,

    January 15, 2016 @ 1:04 PM

    વૈદ્ય કવિ કે કવિ વૈદ્ય એટલે લા.ઠા.

  4. Harshad said,

    January 21, 2016 @ 7:22 PM

    ગમતી રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment