તો સારું…- નાઝિર દેખૈયા
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું…
નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું…
એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું…
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…
જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું…
વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરું ય જો થોડું રુદન થઈ જાય તો સારું…
– નાઝિર દેખૈયા
શું નઝાકત છે !!!!
mitsu said,
May 3, 2015 @ 3:36 AM
Waaaaah
Harshad said,
May 3, 2015 @ 9:33 AM
Bhai bahut khub. Vah vah!!
vimala said,
May 3, 2015 @ 3:08 PM
એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…
વાહ….
RAKESH said,
May 4, 2015 @ 1:42 AM
વાહ્! ક્યા બાત હૈ!
yogesh shukla said,
May 4, 2015 @ 11:22 PM
સરસ રચના