દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
ભાવિન ગોપાણી

ગઝલ – પ્રફુલ્લા વોરા

કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

કળાને હંમેશા ઘેરો રંગ જ માફક આવ્યો છે પણ આ કવયિત્રી નક્કર પોઝિટિવિટીની ગઝલ લઈ આવ્યા છે. આખી ગઝલમાં ક્યાંય કોઈ વિષાદ નજરે ચડતો નથી. આવી સંઘેડાઉતાર વિધાયક રચનાઓ તો ભાગ્યે જ મળતી હોય છે.

હું તો જોકે મત્લાના શેરથી આગળ જ વધવા માંગતો નથી. સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયા છે.

13 Comments »

  1. Rajnikant Vyas said,

    May 15, 2015 @ 3:51 AM

    કવયિત્રીને અભિનન્દન
    ખૂબ સરસ રચના.

  2. Manish V. Pandya said,

    May 15, 2015 @ 4:42 AM

    સુંદર રચના.

  3. NIRAV said,

    May 15, 2015 @ 4:53 AM

    khub saras.. shabd rarachna… raday ni urmio ni sudar rite shabdo ma vyakt kari che

  4. chandresh said,

    May 15, 2015 @ 5:30 AM

    કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયા છે.

  5. ketan yajnik said,

    May 15, 2015 @ 9:04 AM

    પ્રફુલ્લિત થી જવાયું આભાર

  6. B said,

    May 15, 2015 @ 9:31 AM

    The whole ghazal is excellent. It goes through and through . God bless you Prafullaji .

  7. ravindra Sankalia said,

    May 15, 2015 @ 9:33 AM

    સામટુ સુખ ના ચહુ સન્તોશ છે બે ચારમા એ પન્ક્તિ ઘણી ગમી

  8. vimala said,

    May 15, 2015 @ 10:53 AM

    કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
    સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં
    સંગીતની સાંગોપાંગ જીવંત અભિવ્યક્તિ.

  9. yogesh shukla said,

    May 15, 2015 @ 12:46 PM

    સુંદર રચના.

  10. Harshad said,

    May 17, 2015 @ 3:55 AM

    Wash wash kya baat hai !!

  11. Girish Parikh said,

    May 21, 2015 @ 11:39 PM

    મા શારદા અને મા ગુર્જરીની કૃપાથી જો હું “૧૦૦ શ્રેષ્ઠ શેરોનો આનંદ” નામનું પુસ્તક લખું તો એમાં પ્રફુલ્લાબહેનનો આ શેર જરૂર લઉંઃ

    કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
    સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

    પણ “આદિલના શેરોનો આનંદ” પુસ્તક પ્રગટ કર્યા પછી “વિવેકના શેરોનો આનંદ” પુસ્તક લગભગ તૈયાર હોવા છતાં પ્રગટ કરી શક્યો નથી! પુસ્તકો વેચવાની વ્યવસ્થા થાય તો અનેક સર્જનો આપવાની ઇચ્છા છે.

  12. Girish Parikh said,

    May 22, 2015 @ 12:01 AM

    અને “આંગળી અને તાર” વાળા શેરના આનંદની લહાણી કરતા લખાણમાં વિવેકનું આ અવતરણ જરૂર લઉંઃ

    “સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયાં છે.”

  13. Girish Parikh said,

    May 22, 2015 @ 12:25 AM

    મારું નીચેનું મુક્તકાવ્ય (અછાંદસ) “સંગીત” યાદ આવ્યુંઃ

    વીણાને મેં પૂછ્યું:
    “સંગીત તું ક્યાંથી શીખી?
    તારા હ્રદયના કંઈક
    દર્દીલા રસીલા સૂર
    કેવી રીત છેડે તું કહે
    જાદુભર્યા એ તારથી?

    (ઝણકી ઊઠી એ તારની દુનિયા…
    નીરખી રહ્યો હું
    અંગૂલીઓના તાજ શી નખપંક્તિ રાતી,
    એ નાચી ને પ્રસરી ગયો એ તારનો–
    નર્તનધ્વનીઃ)

    ‘જાદુ નથી આ તારમાં
    સંગીતનું જાદુ કરામત ને કલા
    એ સહુ ભરેલાં છે–
    છલોછલ છે–
    જુઓ પેલી નવોદિત પુષ્પકળીઓ શી
    ધ્રૂજંતી આગળીઓમાં.’

    –ગિરીશ પરીખ

    પ્રફુલ્લાબહેનના શેરનું પઠન કર્યા પછી મારા કાવ્યમાં છેલ્લે આ પંક્તિઓ ઉમેરું છુંઃ

    એ નમ્રતા છે તારની
    તારના નર્તન વિના
    સંભવે સ્ંગીત ના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment