એક તો શોધો જગતના બાગમાં એવી વસંત,
ફૂલ ખીલ્યાં જે મહીં ક્યારેય કરમાતાં નથી.
ગોવિંદ ગઢવી

હૉસ્પિટલ – ચંદ્રા

એક હોસ્પિટલ
ચોધાર આંસુએ રડ્યા કરે
રોજ રોજ ઉભરાતાં મબલખ રોગીઓને જોઈને
રોગ પણ કેવા!
કોઈની નજરમાં કાણું,
કોઈની જીભમાં દોઢું હાડકું,
કોઈના ઉચ્છવાસમાં ‘નજાકત’ ચીમળાઈ જાય એટલું ઝેર,
તો કોઈની બુદ્ધિને દૂરના ચશ્મા
રોગીઓની સંખ્યા વધતી જતી જોઇને
પરાણે-મહાપરાણે,
‘પથારી’ઓની સંખ્યા પણ વધારવી પડી
હોસ્પિટલને દુ:ખ થયું
આમ ને આમ થતું રહેશે તો
એક દિવસ બધી ‘પથારી’ઓ ઓછી પડશે અને,
ખુદ રોગીઓ જ
એકબીજાની સામે જોઈને બોલતા રહેશે:
“આના કરતા ‘પથારી’ બન્યા હોત તો સારું હતું”

આ ‘પથારી’એ તો પથારી ફેરવી નાખી છે,
પેરેલિસિસ થયેલ ઈજ્જતની,
એન્જિયોપ્લાસ્ટિ કરાવેલ આદરની,
ટ્રાન્સપ્લાન્ટ થયેલ સ્વચ્છંદતાની
અને
ઓપરેશન માટે ક્યારની વેઈટીંગમાં ઉભેલ….શર્મની…..

~ચંદ્રા

જોહન ડૉનની મેટાફિઝિકલ કવિતાની યાદ અપાવે એ શૈલીમાં લખાયેલ આ કવિતા બે ઘડી વિચારતા કરી દે છે. A poem should not mean, but be ની પણ સ્મૃતિ થાય. જો કે અહીં કવિતાનો અર્થ અને અસ્તિત્ત્વ બંને રહેલા છે. શહેરીકરણ, વસ્તીવધારા, પ્રદૂષણ જેવા પેટ ચોળીને ઊભા કરાયેલા શૂળના પ્રતીક સમી હૉસ્પિટલ એ ઈંત-રેતી-સિમેન્ટનું બનેલું મકાન જ નહીં, જાત-ભાતની માનસિક રુગ્ણતાઓથી ખબદતી આપણી પોતાની જાત પણ ન હોઈ શકે ?!

6 Comments »

  1. Dr. Manish V. Pandya said,

    November 13, 2014 @ 3:20 AM

    “હોસ્પીટલને પણ ક્યારેક બીમાર પાડવાનો હક્ક છે કે નહીં?
    કે પછી બસ બધ્ધાને માત્ર સાજા જ કરવાનો ઓવરટાઈમ કર્યે જવાનો?”
    અછાંદસ કવિતા ગમી. કરુણાસભર કવિતા.

  2. RISHABH MEHTA said,

    November 13, 2014 @ 6:14 AM

    એક સર્જક માટે પ્રતિકુળ પરિસ્થિતિ પણ કેવી આશીર્વાદરૂપ હોય છે અથવા એક સાચો અને સંવેદનશીલ સર્જક પોતાના જીવનની પ્રતિકુળતાને કેવી સુંદર રીતે સર્જકતામાં ઢાળી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ રચના પૂરું પાડે છે. થોડા સમય પહેલાં આ કવયેત્રિ hospitalised થયાં હતાં…હું ધારું છું- rather I fancy- આ અદભૂત કૃતિ બિમાર કવયેત્રિની બિમાર પથારીના સળમાંથી ઉદભવી હોવી જોઈએ…ખૂબ જ સુંદર…!

  3. Suresh Shah said,

    November 13, 2014 @ 7:05 AM

    વિશયની શોધમા પડયા વિના જે આખ સામે ચે, એને કંડારવુ એ જ કવિ આત્મા.

    હોસ્પિટલ ને એવી શણગારી કે હવે ત્યાં જતી વખતે આપણી આંખો ને મન ઉત્સુકતાથી જોશે ….

    ચંદ્રાબેનને અભિનંદન.

    આસ્વાદ કરાવવા બદલ આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. pragnaju said,

    November 13, 2014 @ 3:03 PM

    એક હોસ્પિટલ આ
    અને બીજી આપણે ! સાથે જરુર છે સાચા જ્ઞાનની
    ડૉ. કોઠારી અને ડૉ. મહેતાએ કૅન્સર વિશેના પોતાના રિસર્ચથી તબીબી આલમમાં સનસનાટી મચાવી દીધી હતી. એમનાં તારણોને લીધે કંઇ કેટલીય દવા કંપનીઓ, હૉસ્પિટલો અને ડૉક્ટરોનો કરોડો ડૉલરોનો ગરાસ લૂંટાઈ જતો હતો.
    બેઉ ડૉક્ટરો પાસે તબીબી ક્ષેત્રની મોટી પદવીઓ છે, પોતાના કાર્યક્ષેત્રનો બહોળો અનુભવ છે અને સરકારમાન્ય જવાબદારીવાળા ઊંચા હોદ્દાઓ પર તેઓએ ફરજો બજાવી છે.આજે પ્રજાને ડૉ. મનુભાઈ કોઠારીની ભરપૂર કદર છે રાજકારણ અને સમાજ ક્ષેત્રે ગાંધીજી, ધર્મ-અધ્યાત્મના ક્ષેત્રે રજનીશજી કે ઘરઆંગણે સ્વામી સચ્ચિદાનંદ જેવા વિચારકોને ઝટ દઈને એમના જ ક્ષેત્રના લોકો સ્વીકારી નથી શકતા. પણ વખત જતાં સૌ કોઈએ એમને સ્વીકૃતિ આપવી પડે છે.
    બ્લડપ્રેશર વિશેની ડૉ. મનુભાઈ કોઠારીની એક વાત તમારામાં સોંસરવી ઊતરી જશે. સામાન્ય માણસનું, નીરોગી અને તંદુરસ્ત આદમીનું બ્લડપ્રેશર ૧૨૦ અપોન ૮૦ હોય એવું બધાને ખબર છે. આ પ્રમાણ નક્કી કેવી રીતે થયું? ક્યાંથી આવ્યા આ આંકડા? કોઈ સર્વે થયો હતો? હા. પણ એ સર્વે અમેરિકાની એક ઈન્શ્યોરન્સ કંપનીએ કરાવ્યો હતો. સર્વેક્ષણમાં જણાયું કે ૧૨૦/૮૦ પ્રમાણ ભાગ્યે જ કોઈ માણસનું હોય છે! આથી નક્કી થયું કે આપણે તંદુરસ્તી માટે આ જ પ્રમાણ હોવું જોઈએ એવો નિયમ લાવો જેથી વીમાના પ્રીમિયમનો ઊંચો દર વસૂલ કરી શકાય!
    દસ વરસ પહેલાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) જેવી પ્રતિષ્ઠિત વિશ્ર્વસંસ્થાએ પણ મલ્ટિનેશનલ દવા કંપનીઓને ફાયદો થાય એવો ફતવો કાઢીને ડાયાબિટીસ માટે શરીરમાં શુગરનું પ્રમાણ ઘટાડીને ૨૦ પોઈન્ટ ઓછું કરી નાખ્યું. આનો અર્થ એ થયો કે રાતોરાત ડાયાબિટીસના દર્દીઓ, એક પણ રસગુલ્લું ખાધા વિના વધી ગયા. ડૉક્ટરો તથા દવા કંપનીઓનો કારોબાર રાતોરાત વધી ગયો.
    ડૉક્ટર કોઠારીએ મોટા ભાગની (બાયપાસ સર્જરીઓ કેટલી બિનજરૂરી હોય છે, એટલું જ નહીં શરીર માટે હાનિકારક હોય છે એવું મંતવ્ય આપ્યું ત્યારે સ્વાભાવિક છે હાર્ટ સર્જ્યનો અને કમર્શ્યલ હૉસ્પિટલોના પેટ પર, એમની આજીવિકા પર લાત પડતી હોય એવું ઘણાને લાગ્યું હશે. પોતે જે ક્ષેત્રમાં આજીવન કામ કર્યું હોય તે જ ક્ષેત્રની ખરાબીઓ સામે આંગળી ચીંધવી એટલે પૂરના સામા વહેણમાં તરવા જવું.
    ડૉ. મનુ કોઠારી જેવા, આંગળીના વેઢે ગણાય એવા મુઠ્ઠી ઊંચેરા માણસો પોતે પોતાના ક્ષેત્રમાં જોયેલી, અનુભવેલી ક્ષતિઓને દૂર કરવાના આશયથી, કોઈ સ્વાર્થ વિના, આબરૂ ગુમાવવાના જોખમ સાથે પણ, પ્રજાને જાગ્રત કરતા હોય છે.
    આ ‘પથારી’એ તો પથારી ફેરવી નાખી છે,
    પેરેલિસિસ થયેલ ઈજ્જતની,
    એન્જિયોપ્લાસ્ટિ કરાવેલ આદરની,
    ટ્રાન્સપ્લાન્ટ થયેલ સ્વચ્છંદતાની

  5. pragnaju said,

    November 13, 2014 @ 6:55 PM

    જેમા વિશ્વે સાથ આપ્યો

  6. himmatlal aataa said,

    November 13, 2014 @ 7:47 PM

    હોસ્પિટલ ભલે રુવે પણ ડોકટરો ખુશ હશે .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment