સવાર પડતાં ફાળ પડે છે
અજવાળું અઘરું પડવાનું
– હરીશ મીનાશ્રુ

ગુમાઈ છે – ઉદયન ઠક્કર

ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,
કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની,
બેદરકારીને કારણે,
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે…..
ગુજરાતી
વાંચતી–લખતી એક આખી પેઢી.

ઓળખવા માટે નિશાની : કાનુડાએ
કોની મટકી ફોડી ? -એમ પૂછો તો કહેશે,
જેક એન્ડ જિલની…..

ગોતીને પાછી લાવનારને માટે,
ઇનામ…
એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

– ઉદયન ઠક્કર

વાતમાં દમ છે. હવે આ દિવસો દૂર નથી. સારી ગુજરાતી મીડીયમની સ્કૂલ microscope લઈને શોધવી પડે એવી હાલત છે. મને જો કે આ વાતનો અંગત રીતે હરખ-શોક કશો નથી. હું તો આને ઉત્ક્રાંતિનો નિયમ માનું છું….. જો કે ઘણાં લોકો આ વાતે ખૂબ વ્યથિત પણ હોય છે.

13 Comments »

  1. Indrajit said,

    June 16, 2014 @ 3:49 AM

    ઍક્દમ સાચુ !!!

  2. PUSHPAKANT TALATI said,

    June 16, 2014 @ 4:16 AM

    ગુમાઈ છે – પણ એની મેળે નથી ગુમાઈ – તે માટે જવાબદાર છે સંચાલકો – અને તેથી પણ વિષેશ તો માતા-પિતાની બેદરકારી જ કારણભૂત છે. – “પેઢી” ને દોષ દેવો કેટલો વ્યાજબી છે ?
    કારણ કે “પેઢી” તો નવી છે, નાની છે, અણસમજુ છે. – માતા પિતા અને શિક્ષકો પોતાની પલક આ બાબતમાં ન મીચે તેવી મારી નમ્ર તથા હ્રદય પૂર્વકની અરજી તથા અપીલ છે. – કારણ કે આ બાબત ગુજરાતી વાંચતી–લખતી એક આખી પેઢી ની અસ્મિતાની વાત છે. – ગોતીને પાછી લાવનાર ઇનામ નો હક્કદાર પણ છે. આપણે સર્વ સાથે મળી જો કોષિશ કરીએ તો એ “પેઢી” હંમેશને માટે ઉગારી પણ શકીએ છીએ.

    આ મારો મત મેં પ્રદર્શીત કર્યો છે. – પુષ્પકાન્ત તલાટી

  3. Shah Pravinchandra Kasturchand said,

    June 16, 2014 @ 6:33 AM

    મનમાં ઘુંટાતી વાતને ઉદયનભાઈએ સચોટ રીતે કહી દીધી.

  4. Rajendra Karnik surat said,

    June 16, 2014 @ 7:52 AM

    વાત જ ખોટી છે. કશું ય ગુમાવ્યું નથી,!!!!! ફ્ક્ત મારી ભાષાની શાળાઓ જ બંધ થઇ રહી છે, પણ હું વિશ્વ સ્તરે અંગ્રેજી માધ્યમમાં મારા બાળકને ભણાવું છું, તેથી મારી છાતી કેટલી ગજ ગજ ફુલે તેનો તમને ક્યાં ખ્યાલ છે.? !!! ભલે મને ગુજરાતી,હિન્દી કે અંગ્રેજી કોઇ ભાષા બરોબર ન આવડે, પણ મારી માતા મનેકહે કે જો પેલું, કેમલ આવ્યું, તું સિક્સ વાગે વાંચવા બેસી જજે, તેની જે મજા છે, તેનો તમને ક્યાં ખ્યાલ છે.?!!!!!!! ઉદયભાઇ ધન્યવાદ. પણ પૈસા પાછળ ગાંડી પ્રજાને સંવેદના નથી એટલે તમારો પ્રયત્ન સફળ થાય તેવી પ્રભુને પ્રાર્થના. હું તાજેતરમાં ગુજરાતી બોલીમાં બોલાતા વાક્યની અંગ્રેજી વાચા કેવી હોય તે જણાવતું ૩૦૦ ૪૦૦ વાક્યોનું એક પુસ્તક તૈયાર કરી રહ્યો છું. દા.ત. તેની તો હવા નીકળી ગઇ, નું અંગ્રેજી શું થાય વગેરે વગેરે, એટલે લયસ્તરોના વાચકોને ચાહકોને વિનંતી છે કે તમારા મનમાં કોઇ પણ વાક્ય જે વ્યવહારમાં બોલાતું હોય અને ગુજરાતીઓને તેનુ અંગ્રેજી જાણવું જરૂરી સમજો તો મને તે વાક્ય ક્રુપયા મોકલશોજી. આભાર.

  5. Pravin V. Patel (USA) said,

    June 16, 2014 @ 11:29 AM

    આ બાબતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્વામિનારાયણ સંસ્થાના દરેક મંદિરોમાં બાળકોને ગુજરાતી ભાષાનું ગ્નાન મળે અને શીખી શકે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરેલ છે.ઍમાં ગુમાઈ ગયેલ પેઢીનાં બાળકો પણ હોય છે.અહીં આ વ્યવસ્થા આશીર્વાદ સમાન છે.
    ઉદયભાઈ તેમજ મારી આગળના મહાનુભાવોની વ્યથા જે હાર્દિક છે તે વ્યાજબી છે.
    આભાર.

  6. yogesh shukla said,

    June 16, 2014 @ 3:10 PM

    સુંદર રચના,
    ” ગુજરાતી ભાષા ઘણું જીવો ,”

    હું ગુજરાતીમાં જન્મ્યો ,
    બોલીવુડ થકી હિન્દી શીખ્યો ,
    ગુજરાન ચલાવ્યું અંગ્રેજીમાં ,
    ખબર નહિ મોત કઈ ભાષામાં આવશે ,

  7. હેમંત પુણેકર said,

    June 17, 2014 @ 5:23 AM

    આટલી ચર્ચા થાય છે તો મારું ય એક મત જણાવું.

    વાત તો સાચી છે. સ્થિતિ ચિંતાજનક છે. આ સ્થિતિ કેમ પેદા થઈ એ સમજી શકાય તો આ સ્થિતિ કેમ નિવારવી એનો ઉપાય શોધવાનો શક્ય બને. આ સમસ્યાની મારી સમજણ આ પ્રમાણે છે.

    લાંબી ગુલામીને કારણે બહારની બધી વસ્તુઓ સારી એવી સમજણ તો મુસ્લીમ કાળથી હતી. (હાથ કંગનકો આરસી ક્યા ઔર પઢેલીખે કો ફારસી ક્યા યાદ આવ્યું?) આઝાદી પછીના તરતના કાળમાં આ લાંબી ગુલામીની અસર ભૂંસવા માટે પ્રયાસ થવા જોઈતા હતા. એ તો થયું નહિ અને ઉપરથી આપણે સમાજવાદની આડ લઈ સામ્યવાદી જડસું શાસનતંત્ર ઊભું કર્યું, જેનો સિધ્ધાંત હતો કંઈ કરવું નહિ અને કોઈ કંઈ કરવા માગે તો કરવા દેવું નહિ. ગુજરાતીઓ સદીઓથી એમના વ્યાપારિક સાહસ માટે જાણીતા છે. આવા લોકોને તમે વ્યાપાર કરવા નહિ દો તો એ અમેરિકા જેવી જગાએ ચાલ્યા જ જશે. હવે અમેરિકા જવું હોય તો અંગ્રેજી આવડવું જોઈએ. ભારતમાં રહીને સરકારી નોકરી કરવી હોય (૧૯૯૦ પહેલા બીજું તો ક્યાં બહુ કંઈ હતું જ) તો ય અંગ્રેજી આવડવું જોઈએ. આવો દેશ આપણે બનાવ્યો પછી લોકો અંગ્રેજી પાછળ ભાગે એમાં લોકોનો વાંક નથી. જે ૧૦% લોકો દેશને નેતૃત્વ આપતા હતા એમનો દોષ છે. બાકી ૯૦% તો ફોલોઅર્સ જ રહેવાના.

    અંગ્રેજી વિશ્વભાષા છે અને આજના વૈશ્વિકરણના યુગમાં એ આવડવી જ જોઈએ એ વાતો અર્ધસત્ય છે. અંગ્રેજી જાણ્યા વગર ચીન, જપાન, કોરિયા જેવા દેશોએ ખાસો વિકાસ કર્યો છે. જો તમારી પાસે આર્થિક તાકાત હોય તો અંગ્રેજી વગર પણ ચાલી જ જાય. બાકી જો તમે આર્થિક રીતે અન્યો પર આધારિત હોવ તો તમને જે તે દેશની ભાષા શીખવી જ પડે.

    તો ટૂંકમાં, આર્થિક રીતે સશક્ત થઈએ અને આપણી માનસિક ગુલામીમાંથી બહાર નીકળીએ (બન્ને વસ્તુઓ ખાસ્સો પરિશ્રમ માગે એવી જ છે) તો આ સમસ્યાનું સમાધાન શક્ય છે.

  8. lalit trivedi said,

    June 18, 2014 @ 6:33 AM

    સચ્ચાઈનેી વિશિશ્ટ રજુઆત્

  9. pragnaju said,

    June 18, 2014 @ 7:40 PM

    પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે…..
    ગુજરાતી
    વાંચતી–લખતી એક આખી પેઢી.

    એટલા નીરાશ થવાની જરુર નથી
    જૉડણીસ્તાન માંગણી છોડી એક થાય તો ‘ એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.’ નહીં લાગે!!

  10. Harshad said,

    June 19, 2014 @ 9:42 PM

    સુન્દર્!!

  11. Darshana bhatt said,

    June 20, 2014 @ 6:04 PM

    રાજેન્દ્રભાઈની વાત સાથે સંમત છું. અંગ્રેજી માધ્યમની બિલાડીના ટોપ જેમ ઉધાડી ગયેલી શાળાઓમાં
    એ માધ્યમ થી ભણાવી શકે તેટલા શિક્ષકો જ ક્યાં ઉપલબ્ધ છે !!! તેઓનું પણ પેલી મમ્મી જેવું જ છે.વિદ્યાર્થીઓને નથી યોગ્ય…સારું નહિ…ગુજરાતી આવડતું કે નથી હિન્દી કે અંગ્રેજી આવડતું. ” અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ ” જેવી
    સ્થિતિ છે.અખાને યાદ કરી લઈએ..ભાષાને શું વળગે ભૂર..

  12. Dinesh Pandya said,

    June 20, 2014 @ 9:41 PM

    ગુજરાતી (કે ભારતની કોઈ પણ પ્રાદેશિક ભાષા – માતૃભાષા) બોલાતી, લખાતી, વંચાતી, ગવાતી, સંભળાતી,ભણાતી કે ભણાવાતી સાવ ઓછી થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે નહિવત થતી જાય છે.

    દુનિયા સાથે દોડવા માટે અંગ્રેજી ભાષા અનિવાર્ય છે. એ હવે બધાને સમજાઈ ગયું છે.
    આપણી રોજ રોજની બોલીમા પણ અંગ્રેજી ભાષા વધારે વપરાય છે.

    તેમ છતાં જેમને ગુજરાતી ભાષામાં તેના વાંચનમાં – સાહિત્યમાં જેમને રસ છે તેમને તેમના પુરતું
    મળી રહે છે.

  13. રાજેન્દ્ર આર. શાહ'સ્વપ્નિલ' said,

    June 22, 2019 @ 11:41 PM

    Rajendra Karnik
    આપે‌ લખ્યું છે તે સત્ય.
    વળી,
    “…….
    તાજેતરમાં ગુજરાતી બોલીમાં બોલાતા વાક્યની અંગ્રેજી વાચા કેવી હોય તે જણાવતું ૩૦૦ ૪૦૦ વાક્યોનું એક પુસ્તક તૈયાર કરી રહ્યો છું. દા.ત. તેની તો હવા નીકળી ગઇ, નું અંગ્રેજી શું થાય વગેરે વગેરે, એટલે લયસ્તરોના વાચકોને ચાહકોને વિનંતી છે કે તમારા મનમાં કોઇ પણ વાક્ય જે વ્યવહારમાં બોલાતું હોય અને ગુજરાતીઓને તેનુ અંગ્રેજી જાણવું જરૂરી સમજો તો મને તે વાક્ય ક્રુપયા મોકલશોજી. આભાર…….”
    તો આ પુસ્તક લખાયું છે? જાણ કરશો તો આભાર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment