પ્રેમરસ પાને તું – નરસિંહ મહેતા
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ0
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ0
-નરસિંહ મહેતા
ચાંદસૂરજ said,
May 2, 2008 @ 4:09 AM
પ્રેમરસને ભલા કોણ જાણે અને કોણ માણે? બસ એક તો પેલો નરસૈયો ભોગી અને બીજી પેલી વ્રજની ગોપિકાઓ. બાકી તો કોઈ વિરલા જ એને પામી શકે!
gopal parekh said,
May 2, 2008 @ 4:28 AM
બહુ જ આનંદ વહેંચો છો,તમે સૌ મા-ગુર્જરીના લાડકા દીકરાવને મારા શતશત નમન,લગે રહો ગુજ્જુભાઇ
pragnaju said,
May 2, 2008 @ 9:45 AM
પ્રેમરસમાં તરબોળ કરતું ભક્તીપદ
અમ સૌને પ્રેમરસ લાયક બનાવે તેવી પ્રાર્થના
ધવલ said,
May 2, 2008 @ 12:42 PM
ઘણા વખતે આ પદ જોયું !