બધું ભૂલી જવું છે દોસ્ત! પણ સમય તો લાગશે!
ઉતારી દેવો છે આ બોજ પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

સવા-શેર : ૬ : ભીના ન થયા – રમેશ પારેખ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા

– રમેશ પારેખ

વરસાદમાં જવું અને ભીના થવું એ બન્ને તદ્દન અલગ ઘટના છે. વરસાદમાં તો બધા જાય છે પણ ભીના બહુ ઓછા લોકો થાય છે. જે ભીના થતા રહી જાય છે એમાં વાંક બિચારા વરસાદનો નથી. આપણા જ ‘આવરણો’ ઊતારવાના રહી ગયા હોય છે. આપણે બધા ઝરમર વરસતી જીંદગી વચ્ચે જ ઊભા છીએ. હવે ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા જ હાથમાં છે.

– ધવલ

કેટલાક વરસાદ, કેટલાક ચોમાસા આપણને કોરાંકટ છોડીને પસાર થઈ જાય છે. એવા “સમ્-બંધ” જ્યાં બંધન હોય પણ સમતા ન હોય ત્યાં ઉભય પક્ષે લાગણી હોવા છતાંય સામાને ભીનાશ વર્તાયા વિના જ રહી જાય એમ બની શકે… કેટલાક તો માણસો પણ વૉટરપ્રુફ હોય છે !

– વિવેક

વરસાદ એટલે કુદરતનો સંવાદ. વરસાદ એ પરિસ્થિતિ છે અને ભીંજાવુ એ મન:સ્થિતિ છે. ઘણા વરસાદમાં પલળે છે ખરા પણ ભીંજાતા નથી. જેમ ધોધમાર વરસાદમાં પલળીને કોરા રહી જનારા ય હોય છે તેમ બારીમાં ઊભા ઊભા જ ભીંજાય જનારા પણ હોય છે. જીવંત હોય એ જ ભીંજાય શકે, જડ હોય એ તો પથ્થરની જેમ માત્ર પલળી જ શકે. અને ભીંજાય શકે એ જ ભીંજવી શકે…

– ઊર્મિ

જેટલું ઊંડાણ પોતાનામાં હોય તેટલું જ ઊંડાણ વ્યક્તિ સામેનામાં જોઈ શકે છે……

– તીર્થેશ

4 Comments »

  1. DINESH said,

    December 11, 2013 @ 4:18 AM

    છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
    ઉડે ભેજ થોડો, બની જાય રેતી.
    વિવેક મનહર ટેલર

  2. Atul Jani (Agantuk) said,

    December 11, 2013 @ 5:51 AM

    ન ભીજાનારાની વાત જવા દઈએ, અહીં ભીજાનારાઓને મજા આવશે ઃ

    http://bit.ly/1gCA0ov

    અને હા, આ ભીજાનાર પણ રમેશ પારેખ જ છે હો 🙂

  3. perpoto said,

    December 11, 2013 @ 7:59 AM

    કાગડો થઈ
    ખબર નહીં ક્યારે
    ખીટીંએ છત્રી

    કવિશ્રી રમેશભાઈને અર્પણ

  4. Darshana bhatt said,

    December 11, 2013 @ 5:04 PM

    ભિજાવા માટે હૃદયને અનાવૃત્ત કરે એ ભીંજાય પણ ખરા અને ભીંજવે પણ ખરા .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment