તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
– બાપુભાઈ ગઢવી

સવા-શેર : ૩ : વાતાવરણને જીવતું રાખે – રઈશ મનીઆર

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર

કહેવાય છે કે સમય ખૂબ જ બળવાન હોય છે અને એ જ હૃદય-મનનાં બધા દુ:ખોની દવા છે, જે ઘણીવાર સાચું હોય છે. પરંતુ વ્યથાના વાદળો જ જ્યારે દર્દનાં વાતાવરણને ચિરજીવંત રાખતા હોય ત્યારે એ ચોક્કસ ખોટું પુરવાર થાય છે. મતલબ કે સમયનાં સૂર્યનું કાયમ ચાલતું નથી હોતું. દર્દભીની ધરતી પર જ ક્યારેક સર્જકતાનાં ફૂલ ખીલી ઊઠતા હોય છે. અહીં ઘાયલસાહેબનો શેર યાદ આવે છે, "સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે, ગમે તેવું દુઃખી હો પણ જીવન જીવાઇ જાયે છે."

– ઊર્મિ

એક અદભુત શબ્દચિત્ર… ઉનાળામાં ધરા સકળ બાળી મૂકવા પર ઉતારુ થયેલા સૂર્યને ઢાંકી દઈને હાશ વરસાવતા વાદળોને રૂપક તરીકે વાપરી કવિ સમયની નિર્મમતા અને વ્યથાની સહૃદયતાને juxtapose કરી આપે છે. કાળથી વધુ વિકરાળ બીજું કોણ હોઈ શકે? મહાભારત યાદ આવી જાય: समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वोही बाण ।

– વિવેક

 

કવિ નથી ઈચ્છતા કે કેટલાક ઘા રૂઝાય.. કેટલાક વ્રણ આપણને સતત એ અનુભૂતિ કરાવતા રહે છે કે આપણે જીવંત છીએ … આપણી સર્જકતાને ઉત્તેજિત કરતા રહે છે આવા વ્રણ- વિશ્વના સર્વોત્તમ સર્જન દર્દની પરાકાષ્ઠાએ જ થયા છે…. મરીઝસાહેબ પણ માગે છે – ‘દે એક મહાન દર્દ અને પારાવાર દે’. વળી, વાદળો કાયમી નથી હોતા. વરસી જાય છે,પવન સાથે ખેંચાઈ જાય છે..

આ જરાક complex અભિવ્યક્તિનો શેર છે – કોઈ કદાચ એમ દલીલ કરે કે કવિ દર્દ પરત્વે pathological attraction ધરાવે છે, પરંતુ આ શેરમાં અભિવ્યક્તિની સુંદરતા એક સરળ વક્રોક્તિને લીધે ખીલે છે ….જેમ કે ગાલિબનો શેર –

કોઈ મેરે દિલ સે પૂછે,તેરે તીર-એ-નીમકશ કો,
વો ખલિશ કહાં સે હોતી,ગર જીગર કે પાર હોતા !

(મારા દિલની વેદના તારા અર્ધખેંચાયેલા તીરને આભારી છે. જો તારું તીર જીગરની આરપાર ચાલ્યું ગયું હોતે તો ના જાન રહેતે, ના દર્દ.)

એક તલત મેહમૂદનું ગીત યાદ આવી જાય છે- હૈ સબ સે મધુર વોહ ગીત જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ …..

– તીર્થેશ

 

વ્યથા ને લીધે જ જગતની કથા ચલતી રહે છે. એક વિશાદ ઘૂંટાય તો તેમા આખા રામાયણની રચના કરવાની તાકાત હોય છે. દર્દની ભીનાશ જ ફળદ્રુપ બનાવે છે.

– ધવલ 

2 Comments »

  1. AMIN said,

    December 8, 2013 @ 1:24 AM

    જિવ ન નિ સચ્ચઆઇ

  2. lalit trivedi said,

    December 8, 2013 @ 10:15 PM

    સરસ! સાથોસાથ લયસ્તરોને નવવરસાભિનન્દન!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment