ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
કૈલાસ પંડિત

કારણ – ચિનુ મોદી ‘ઇર્શાદ’

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.

વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.

ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.

બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.

હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?

જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…

8 Comments »

  1. ravindra Sankalia said,

    September 19, 2013 @ 9:27 AM

    આખરની બે કડી ખુબ ગમી.

  2. Chandresh Thakore said,

    September 19, 2013 @ 10:42 AM

    ઇર્શાદ સાહેબ, “વાયુંમાં વિશ્વાસનું કારણ હતું – વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.” એ શેરમાં તમારું પ્રતિબિંબ વધુ સચોટ પડ્તું લાગ્યું … સરસ!

  3. siddharth j Tripathi said,

    September 19, 2013 @ 11:28 AM

    Bey ankho saav kori rakhaje,
    roj zakal raatna aavej chhe?
    Huyn dekhato hato Aa Darpane,
    orado Aa Vaat Kyan Manej chhe ?

    Ane have prashna nathi Vishvas Chhe.

    Jyan sudhi “Irshad” name jan jive,

    Lagani Pruthvi uper to chej chhe.

    Param Krupalu ne Prarthana ke
    Irshad ne nimitt rakhi Lagani saday vahevdavje.

  4. Shah Pravinchandra Kasturchand said,

    September 19, 2013 @ 11:30 AM

    આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
    એક ખુરશી છે ને સામે મેજ છે.
    ચિનુભાઈ,
    જો આજ કારણ હોત તો ગઝલોના સમુદ્રો ઘૂઘવતા હોત,ખરુંને?

  5. perpoto said,

    September 19, 2013 @ 2:10 PM

    પાંદડે ભેગું કરેલુ તેજ છે….સુંદર કલ્પન છે

  6. Harshad Mistry said,

    September 20, 2013 @ 9:43 PM

    Heart touching gazal. Like it.

  7. Mukul Jhaveri said,

    September 27, 2013 @ 3:43 AM

    “એ તને શણગાર આપે જ છે” – આ પન્ક્તિમા “શણગાર” પછી “તો” રહી ગયુ લાગે છે.

  8. વિવેક said,

    September 27, 2013 @ 4:37 AM

    @ મુકુલ ઝવેરી:
    ખૂબ ખૂબ આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment