તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
– બરકત વિરાણી ‘બેફામ’

કિયે ઠામે મોહની – દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે,
.                          મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં
.                          કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo

ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં
.                          કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo

શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં
.                          કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo

કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં
.                          કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo

ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં
.                          કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo

દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે
.                          તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીo

– દયારામ

ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. અત્યંત મનોહર ભાષામાં મુગ્ધ ગોપી અહીં કામદેવથી ય રૂપાળા મોહનનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણના કયા અંગમાં કે ગુણમાં એનું ખરું આકર્ષણ છે એ જાણે અહીં ગોપી શોધવાની કોશિશ કરી રહી છે અને અંતે ‘અખિલમ્ મધુરમ્’નો કાયદો સ્વીકારી લઈ તન-મન-ધનથી એના પ્રેમમાં લૂંટાઈ બેસે છે એ આખી રીતિમાં દયારામનું કવિત્વ એના સુભગ રૂપે પ્રકટ્યું છે. મટક-લટક, કેશ-વેશ, નેન-સેન જેવા મધ્યાનુપ્રાસ ગરબીને મીઠી ગાયકી બક્ષે છે.

1 Comment »

  1. Pragnaju Prafull Vyas said,

    December 28, 2007 @ 12:03 PM

    ‘रेमे रमेशो व्रजसुंदरीभिर्य़थार्भकः स्वप्रतिबिंबविभ्रमः” ગોપી ભાવ લાવવાની સાધના કરી આ ગરબી ગાઈએ તો કૃષ્ણનો અણસાર થાય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment