ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
ગની દહીંવાલા

અનંતે સરું – મકરંદ દવે

મારા નાનકડા ખોરડાની બારી પ્રભુ !
આજ વાસી દઉં
મારા નાનકડા દીવડાને ઠારી પ્રભુ !
આજ બ્હારે જઉં.

જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે
તારી જ્યોતિસભા
જ્યારે રેલે અસીમ શ્યામ રાત બધે
તારી સ્મિત પ્રભા.

મારા બારણિયાં બ્હાર ત્યારે બેસી પ્રભુ !
મૂક વંદી રહું
એક ખૂણે અનંતને પ્રવેશી પ્રભુ !
ધનભાગી થઉં.

મારી નાનકડી બારી વચાળે સદા
તને જોવા મથ્યો
મારે દીવાને ઝાંખે અજવાળે વૃથા
તને ખોવા રહ્યો.

હવે એવી તે ભૂલ કદી ના રે કરું
નાથ, વસી બારી
તારી જ્યોતિ અનંતમાં હું જાતે સરું
મારો દીવો ઠારી.

-મકરંદ દવે

ઇન્દ્રિયોરૂપી બારી અને mind – મનરૂપી દીવડો….. આ બે ને અતિક્રમીને વિશ્વચેતનામાં ભળી જવાની ભાવના અહીં નાજુકાઈથી વ્યક્ત થઈ છે…..

4 Comments »

  1. pragnaju said,

    June 17, 2012 @ 8:19 am

    ગૂઢ પ્રેરણાદાયી સરસ કાવ્યનો સુંદર આસ્વાદ

  2. vihang vyas said,

    June 18, 2012 @ 1:04 am

    superb !

  3. kishoremodi said,

    June 18, 2012 @ 9:56 am

    આધ્યાત્મિક સ્તરે લઈ જતી સુંદર રચના

  4. Dhaval said,

    June 18, 2012 @ 2:28 pm

    રવિન્દ્રનાથના કુળની કવિતા.. સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment

 

Powered By Indic IME