આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન-
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના !
મરીઝ

અંધની ગઝલ – ભગવતી કુમાર શર્મા

હા, બને ઘટનાઓ, પણ દૃષ્યો વગર;
ફૂલ મારાં ઊઘડે સૂર્યો વગર,

હું અવાજોની સપાટી પર તરું;
મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર.

શ્વાસમાં છે ટેરવાંનું દળકટક;
પુષ્પને પામી શકું રંગો વગર.

સપ્તરંગી મારાં આકાશો નથી:
ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર.

એક નહિં, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે:
રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.

ક્યાં છે? શું છે? કોણ છે? કેવુંક છે?
જીવવાની ટેવ છે પ્રશ્નો વગર.

રંગ, રેખા, રૂપ, આકારોથી દૂર;
તોય હું જીવ્યા કરું સૂર્યો વગર.

આંખ પર છે કાળા સૂરજનો કડપ;
કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?

ભગવતી કુમાર શર્મા

3 Comments »

  1. Vihang Vyas said,

    December 27, 2006 @ 3:27 AM

    અરે વાહ્…….આબેહુબ અનુભૂતિની ગઝલ છે. આ ગઝલ માણીને મને ભાનુપ્રસાદ પંડ્યાનું
    જાણીતું ગીત “…દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી..” સહજ યાદ આવી ગયું.
    કયાં છે ? શું છે ? કોણ છે? કેવુક છે ?
    જીવવાની ટેવ છે પ્રશ્નો વગર…..

  2. વિવેક said,

    December 27, 2006 @ 10:01 AM

    અંધ વ્યક્તિની અનુભૂતિનું તાદ્દશ ચિત્રણ…. સુંદર ગઝલ…

  3. ધવલ said,

    December 27, 2006 @ 8:07 PM

    આંખ પર છે કાળા સૂરજનો કડપ;
    કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?

    સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment