બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !
ડૉ. મહેશ રાવલ

પદ – નાથજી ગોપાળજી

(રાગ રામગ્રી)

વારંવાર વિચારતાં, અવગુણ એ મોટો;
કૃપણપણું જે આદરે, તેહનો ભવ ખોટો.               વારંવાર. ૧

સાથે તે હ જ આવશે, સુધારે વરશે;
જો વેળાં નહિ વાવરે, પછતાવો કરશે.                 વારંવાર. ૨

ધરણીનું ધરણી તળે, પરહાથી કે ચઢશે;
વણીક કને જો મૂકશો, દેવાળે પડશે.                    વારંવાર. ૩

ઘર માંહે સાંચ્યું હશે તે, ત્યમજ રહેશે;
જમકીંકર તે પંથમાં, ધિકદિક તાં કહેશે.               વારંવાર.  ૪

પાપ કરી એકઠો કરે, અધર્મનો માલ;
વહુજી પુઠે ન મોકલે, એક રતી કે વાલ.               વારંવા ર. ૫

ભાઈ મોકલશે નહિ, મોકલે ન કો પુત્ર;
પુત્રી મોકલશે નહિ, મોકલે નહિ મિત્ર.                  વારંવાર. ૬

… … … … … … … … … …
રજની થોડી વેશ બહુ, વાહશે ત્યાં વહાણું.            વારંવાર. ૭

લોભે લાગ્યો પ્રાણીઓ, હા દૈવ હા દૈવ;
માતાપિતા ગુરુ ઉપરે, મને દયા તે નૈવ.              વારંવાર. ૮

ધન તેડ્યું, ધર્મ છાંડીયો, માથે લીધો ભાર;
સાથે કો આવે નહિ, ચાલવું ન્યરધાર.                  વારંવાર. ૯

શંબલ સાથેનું કરો, દુસ્તર છે વાટ;
ઓળખીતો ત્યાંહા કો નથી, ત્યાંહા નથી તે હાટ.     વારંવાર.૧૦

ઉધારે મળશે નહિ, મારગ છે દૂર;
વળોટીઓ ત્યાં કો નથી, શબદ ઓ કેસુર.             વારંવાર. ૧૧

દાસપન કો રાખે નહીં, એક વીરજી સાહાય;
તેહેને સંતોખ્યાતણો, કાંઈ કરો ઉપાય.                વારંવાર. ૧૨

શી અભિલાષા જનની, અથવા શી પરની;
નાથજીને આશા ઘણી, એક લક્ષ્મીવરની.           વારંવાર. ૧૩

કવિ નાથજી ગોપાળજી વિશે જે છૂટક અને તૂટક માહિતી મળે છે એ પરથી એમ જણાય છે કે તેઓ ઈ.સ. 1630 થી 1710ની આસપાસના સમયગાળામાં થઈ ગયા હશે. અણહીલપુર પાટણના રહેવાસી અને જ્ઞાતે વડનગરા પટણી નાગર. 15 કડવાં (733 કડીઓ) ના ‘ચંડીપાઠ’ અને 35 કડવાં (1776 કડીઓ)ના ‘કાશીખંડ’ જેવા કાવ્યો ઉપરાંત થોડાં પદ મળી આવ્યાં છે જે અહીં પ્રસ્તુત છે. 300-400 વર્ષ પૂર્વેના ગુજરાતી સાહિત્ય વિશે આછો ખ્યાલ આ પદો પરથી મળી રહે છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ કહેવત આ પદમાંથી મળી આવી છે એમ જાણીએ તો આશ્ચર્ય ન થાય? લોભીની અહીંની ગતિથી પરલોક સુધીની અવગતિ આ પદોમાં સુંદર રીતે વણી લેવાઈ છે.

(કૃપણપણું= લોભ,  વાવરે=વાપરવું, જમકિંકર= યમદૂત, ધિકદિક= ધિક્કારવાચક ઉદગાર, દૈવ= નસીબ, નૈવ= જેમ નહીં, ન્યરધાર=નિરાધાર, શંબલ=ભાથું, પાથેય, સંતોખ્યાતણો=સંતોષ આપવા તણો)

1 Comment »

  1. પંચમ શુક્લ said,

    August 5, 2006 @ 9:31 AM

    વિવેક્ભાઈ
    બહુ જ સુંદર અને સંશોધનપ્રદ ભક્તિગીત લઈ આવ્યા છો.
    વાંચવાની ખૂબ મજા પડી.

    ‘રાત થોડી ને વેશ ઝાઝા’ કહેવતનો સંદર્ભ રસપ્રદ છે…એવી શક્યતા ઘણી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment