દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ધ્વનિલ પારેખ

મનહરલાલ ચોક્સીને પ્રથમ પુણ્યતિથિએ એક શબ્દાંજલિ

ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.

ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની સળવળતી રહી.

હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.

હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.

-મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’

આજે મનહરલાલ ચોક્સીની વિદાયને એક વર્ષ થયું (29-09-1929 થી 04-05-2005). ગુજરાતમિત્રમાં ‘શાયરીની શમા’ વર્ષો લગી ઝળહળતી રાખનાર મનહરલાલ પારદર્શી વ્યક્તિત્વ ઉપરાંત સાદગી, સહિષ્ણુતા અને સમભાવના કારણે આજીવન અજાતશત્રુ રહ્યાં અને તે એટલી હદે કે પાર્કિન્સનની બિમારી સાથે ય કાયમી દોસ્તી રાખી. એમની ચોકસી નજર નીચે કેટલાય કવિઓ છંદ-લયથી સમૃદ્ધ થયાં. ઉર્દૂના ઉસ્તાદ કક્ષાના જાણકાર. જ્યોતિષવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રના પ્રખર જાણભેદુ. ગુજરાતને કવિતા, નવલકથા અને વાર્તાઓ આપવા ઉપરાંત એમણે મુકુલ ચોક્સી પણ આપ્યા! પદ્ય પદાર્પણ :‘ગુજરાતી ગઝલ’ (ગઝલ), ‘અક્ષર’ અને ‘ ‘વૃક્ષોના છાંયડાઓ મને ઓળખી ગયા’ (કાવ્ય સંગ્રહો), ‘હવાનો રંગ’ (મુક્તક).

1 Comment »

  1. Maheshchandra Naik said,

    May 5, 2008 @ 2:38 PM

    HATHMAN AVSAR TANU DARPAN HATU
    NE NAJAR VERANMAN DHALATI RAHI………..
    Dr. Vivekbhai, it is very nice of you to give tributes to Shri Manharbhai, whom I met and enjoyed his Gazal Bethko!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    UATADNE MARI SMRUTI VANDANA>

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment