પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.
શૂન્ય પાલનપુરી

ઉદ્ગાર – કાન્ત

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને!

સદા રે’શે એવી :
સુધાવર્ષા જેવી :

કૃતી માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!

– કાન્ત

મનગમતી એક વ્યક્તિ સાથે તાર જોડાઈ જતાં માણસ દુનિયા સાથે તાર જોડવું નિરર્થક સમજે છે. કોઈકના હૈયામાં વસવાટ કર્યાના આધારે પ્રેમીજન દુનિયાથી પ્રેમ કરતો નથી અને નવા સંબંધો બાંધવાનો સમય જતો કરે છે. પણ આમ એકલવાયા પડવાનો એને કોઈ ઉદ્વેગ પણ નથી હોતો. અર્જુન જેમ પક્ષીની આંખને એમ પ્રેમી માત્ર પ્રિયજનને જ નીરખે છે. પ્રિયાની પ્યારભરી દયાવાન દૃષ્ટિ સર્વ બિમારીઓ પણ હરી લે છે. પ્રણયની આ અમૃતવર્ષા સદાકાળ આવી ને આવી જ રહેશે એવી આસ્થાના લીધે જીવનની પ્રત્યેક ક્ષણ કૃતાર્થતા અનુભવાય છે…

ખંડ શિખરિણી અને શિખરિણીમાં લખાયેલ આ ગીત પ્રેમોદ્ગારની ચરમસીમાને સ્પર્શે છે…

(સદય = દયાળુ; રુજ = બિમારી; કૃતી = કૃતકૃત્ય,ભાગ્યશાળી; પ્રમત્તાવસ્થા= ઉન્મત્તાવસ્થા,પ્રમાદયુક્ત)

Leave a Comment