ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

નહીં મંદિર નહીં દેરું – જિગર જોષી ‘પ્રેમ’

સ્વપ્ન જોયું અદકેરું
કોઇ લખાવી રહ્યું હતું – હું કરતો’તો એ ઘેરું.

અવાજ જેવું કૈં જ હતું નહીં – એનું મૌન પડઘાતું
કશુંક નીકળે આરપાર ને ક્યાંક કૈંક અથડાતું
એકલવાયો દીવો જલતો – નહીં મંદિર નહીં દેરું !

‘નમ: કવિતા’ લખી ને એણે પ્રાણ પૂર્યા કાગળિયે
એવું લાગ્યું હરિએ કીધું : “આવને વ્હાલાં મળીએ.”
આંખ આંજી નાખે એવું દૂર થયું અંધારું

– જિગર જોષી ‘પ્રેમ’

કવિમિત્ર જિગર જોષી પ્રેમ એમનો નવોનકોર ગીત-ગઝલ સંગ્રહ –હથેળીમાં સાક્ષાત્ સરસતી– લઈને ઉપસ્થિત થયા છે… લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત.

સર્જનપ્રક્રિયા વિશે લખવું દરેક સર્જકને પસંદ હોય છે. જિગર પણ હાથ અજમાવે છે. ખુલ્લી આંખે જે દેખી શકાતું નથી એ ઘણીવાર બંધ આંખે અચેતાવસ્થામાં સ્વપ્નરૂપે નજર આવતું હોય છે. એ લખાવે છે અને હું લખું છું એવી વાત જે ઘણા કવિઓ કરી ગયા છે એ જ વાત આ કવિ પણ કરે છે – કોઈ લખાવી રહ્યું હતું, હું કરતો’તો એ ઘેરું. પણ પછી કવિ કેવી મજાની વાત કરે છે. આપણા અવાજ જેવું હકીકતમાં કંઈ છે જ નહીં. જે છે એ માત્ર એના મૌનના પડઘા છે. સર્જન એ એકલવાયો દીવો છે, એને મંદિર કે દેરાની દીવાલોનો કોઈ ખપ નથી. એના ઈશારે કાગળમાં પ્રાણ પૂરાય છે ત્યારે એમ જ લાગે જાણે હરિ ખુદ મળવાનું ઈજન આપતા ન હોય! આમ તો અજવાળું આંખ આંજતું હોય છે પણ સર્જનની વાત અવળી છે. કશું લખાતું ન હોવાનું અંધારું કવિની આંખને વધુ કનડતું હોય છે. ઈશ્વરકૃપાથી એ દૂર થાય અને કવિતાનો પ્રકાશ પથરાય છે…

1 Comment »

  1. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    June 8, 2019 @ 8:17 PM

    કવિશ્રીને અભિનદન, આપનો આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment