આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !
– મુકુલ ચોક્સી

પડઘા – પ્રિયવદન નૌતમરાય પાઠક

(શિખરિણી)

નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં!

ન કે કાવ્યાભાસી સહજ પદવિન્યાસ નવલા,
નવા ઉન્મેષો ના, નવ નવીનતા છંદ-લયની,
ન વા શોભે કોઈ નવતર અલંકાર કૃતિમાં,
કવ્યા ના સંસ્કારો નવ રસ રૂપે પૂર્વસૂરિના.

નથી ભાષાપ્રૌઢી કવનની, ન લક્ષ્યા, શું અભિધા!
ગિરા જે ગીર્વાણ પ્રભવતી નહીં કૈં ગુણવતી,
ન વાણીની આમાં મનસ ભરતી કૈ& ધ્વનિ-કલા,
ન વાગ્મિતા કેરી મનહર મધુરી મુખરતા.

નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા.

– પ્રિયવદન નૌતમરાય પાઠક
(જન્મ ૦૯-૧૦-૧૯૨૩, નિધન ૧૩-૧૦-૨૦૧૭)

કવિતા શું છે એનો તાગ મેળવવા કવિઓ પરાપૂર્વથી મથતા આવ્યા છે. બહુ ઓછા જાણીતા કવિ શ્રી પ્રિયવદન પ્રસ્તુત સૉનેટમાં નથી-નથીની રીતિ અપનાવીને પોતાની કવિતાના મૂળ સુધી પહોંચે છે. કવિતાની શરૂઆત જ આ કંઈ કાવ્યો નથીની નિખાલસ કબૂલાતથી થાય છે. કવિ કહે છે કે એનાં સર્જન પ્રણયના ધોધમાર ઊભરા નથી, ઊંડાવિચારવિમર્શોનું તારતમ્ય પણ નથી, પરિપક્વ પ્રજ્ઞાનું નવનીત પણ નથી, ને અહીં બહુરૂપી સૃષ્ટિની પોતિકી સૌંદર્યલીલા પણ નથી. અહીં કાવ્યનો આભાસ જન્માવે એ નવીન પદવિન્યાસ નથી, નૂતન ઉન્મેષો નથી, છંદોલયના નવીનતમ પ્રયોગો કે અલંકારોની શોભા પણ નથી, ને પૂર્વસૂરિઓ પાસેથી મળેલા સંસ્કારો નવા રસમાં ઢળાઈને પણ રજૂ થયા નથી. કવિ પાસે ગંભીર-પ્રૌઢ ભાષા નથી, જે અભિધા-લક્ષણા-વ્યંજનાની કસોટીએ ખરી ઊતરે, ગુણવતી દેવોની ભાષા પણ નથી ને કાવ્યશાસ્ત્રની મધુર મુખરતા પણ નથી.

આમ, નથી-નથી કરતાં કવિ પોતાની કવિતાની ગંગોત્રી સુધી પહોંચે છે. એમની સખીના અહર્નિશ પ્રીત-ટહુકાઓનો જે અવાજ છે, એના કવિહૃદયમાં જે આર્દ્ર પડઘા ઊઠે છે એ જ છે એમની કવિતા…

કેવી અદભુત રચના!

3 Comments »

  1. Pradeep Gala said,

    January 10, 2019 @ 4:43 AM

    કલે અન્કિત તિર્વેદિ અને અજે રૈશ મનિઅર, મજ અવિ ગૈ.

  2. Jaffer Kassam said,

    January 10, 2019 @ 5:12 AM

    કેવી અદભુત રચના!

  3. pragnaju said,

    January 10, 2019 @ 7:04 AM

    અદભુત રચનાનું ડૉ વિવેક દ્વારા સ રસ રસદર્શન

    સ્વરૂપ પસંદ કરવું અને આ કાવ્યના એક મહત્ત્વના પ્રકાર તરીકે સોનેટ કાવ્યોને પસંદ. કરવા. … “Sonnetto’ (વાદ્ય સાથે ગવાતું કાવ્ય) એવો અર્થ આપ્યો છે. સૉનેટ …. પ્રણય સૉનેટ કાવ્યોમાંથી પ્રસાર થતાં ઉપરની વાતની પ્રતીતિ થયા વગર રહેતી નથી.

    નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
    વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
    બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
    તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં આવી.

    માનવની ભીડ હવે ભૂતાવળ જેવી નથી લાગતી. સનાતન પ્રેમની કવિતા. ગાતી પથ્વીને પ્રેમ કર્યો. ધરા પરના માનવીના અસ્તિત્વને એક સદ્ભાગ્ય ગયું. મુકતતાન ઊર્મિસભર અવાજ કાવ્યમાં સભળાયો. પ્રકૃતિ-પ્રણયની ભૂમિકાવાળા.
    આપણા બધામાં રતિ, ઉત્સાહ, જુગુપ્સા, કરુણા, નિર્વેદ વગેરે ભાવો રહેલા છે. પણ એનો વિશિષ્ટ રૂપે સાક્ષાત્કાર કરવાની અનન્ત શક્યતાનો પરિચય કવિ આપણને કરાવે છે.

    નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
    સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment