જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.
જયંત ડાંગોદરા

પિયર ગયેલી ભરવાડણની ગઝલ – નયન દેસાઈ

પનઘટે છલકાતી ગાગર સાંભરે
દી’ ઊગે ને રોજ સહિયર સાંભરે

છેડલો ખેંચી શિરામણ માંગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે

સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,
આંખડી મલક્યાનો અવસર સાંભરે

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે

તાણ ભાભુજીએ કીધી’તી નકર,
કોણ બોલ્યું’તું કે મહિયર સાંભરે?

મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!

-નયન હ. દેસાઈ

નયન દેસાઈની આ મજાની મુસલસલ ગઝલનો આસ્વાદ ઉદયન ઠક્કરના શબ્દોમાં માણીએ:

આપણામાં કહેવત છે કે પિયરનું કૂતરું યે વહાલું લાગે.સાસરિયું ખારું છે,પિયરિયાની યાદ સતાવે છે, એવું બોલનારી ઘણી સ્ત્રીઓ મળી આવશે.આ કાવ્યની ભરવાડણ જોકે જુદું બોલે છે.
‘સાસરું’ નામ પડતાંવેંત ભરવાડણને ત્રણ વાનાં સાંભરે છે,ત્રણેય પ્રસન્ન કરી મૂકે તેવાં છે: ગાગર સૂકીભઠ નહિ પણ છલકાતી છે. (સુખસમૃદ્ધિની રેલમછેલનું સૂચન.)દી’ આથમતો નહિ પણ ઊગતો છે.(યૌવનકાળનું સૂચન.) સાંભરે છે તે વઢિયારી સાસુ નહિ પરંતુ હસમુખી સહિયર.(આનંદી અડોસપડોસનું સૂચન.)

શિરામણ એટલે નાસ્તો.નાનકડો દિયર વાસીદું વાળતી ભાભીનો છેડલો તાણીને હકપૂર્વક શિરામણ માગે,એ પરિવારમાં પ્રેમ તો હશે જ ને!

પિયરમાં રાત્રિ સૂમસામ છે.સાસરું સાવજની ત્રાડથી થરથરતું.ભરવાડણને તેના ભણકારા સંભળાય છે. (રાત્રિએ ત્રાડ પાડતો સાવજ જાતીયતાનું પ્રતીક હોઈ શકે.પિયરમાં એ સાવજ ક્યાંથી હોય?)

ભરવાડણ આડે પડખે તો થઈ છે, પણ નીંદર આવતી નથી.સાસરિયામાં ‘નીંદર બાથમાં લઈ લેતી હતી.’ (‘પતિ બાથમાં લઈ લેતો હતો’ એવું લખવું અશ્લીલ લાગે.) શૃંગાર રસનું ઉદ્દીપન કરવાનું હોવાથી ‘દેહ’ શબ્દ ખાસ મુકાયો છે.

સાંજ ટાણે પતિ ફળિયેથી સાદ દેતો હતો,તે ભરવાડણને સાંભરે છે.સ્ત્રીસહજ લજ્જાને કારણે સાદ કોણ દેતું હતું,તે કહ્યું નથી.કુળમર્યાદાને લીધે સામો સાદ ન દેવાય, માટે ભરવાડણ આંખોમાં મલકી લેતી હતી. પ્રસંગ મંગલ હોવાથી એને ‘અવસર’ કહ્યો છે.

‘ભાભુ’ એટલે ભાભી અથવા દાદી.પિયરિયે આવેલી યુવતી જાણે ફરીથી છોકરી બની જાય છે, છણકો કરીને કહી દે છે,’મારે મહિયર આવવાની હોંશ નહોતી,આ તો તમે બધાં પાછળ પડેલા માટે આવી છું!’

છેલ્લા શેરમાં આપણને જાણ થાય છે કે ભરવાડણ આ બધું પોતાની માતાને સંબોધીને કહેતી હતી. કરી શકાયો તેટલો ઉત્તાપ તેણે સહન કર્યો, હવે પતિના ગામ ભણી ચાલતી થાય છે. વધુ રોકાવાની દાનત હતે,તો બેગ-બિસ્તરા બાંધીને આવતે.વેળાસર ઉચાળા ભરવા હતા, માટે પોટલું (બચકું) લઈને આવી છે.

ભરવાડણને કોણ સાંભરે છે? ક્યાંય સુધી આડીઅવળી વાતો કર્યે રાખી: ગાગર સાંભરે,સહિયર સાંભરે,દિયર સાંભરે,પાધર સાંભરે,નીંદર સાંભરે…અંતે હૈયે હતું તે હોઠે આવી જ ગયું: આયર સાંભરે! (ભરવાડ અને આયર જુદી જાતિઓ છે. આ કાવ્યનું શીર્ષક હોવું જોઈએ, ‘પિયર ગયેલી આયરાણીની ગઝલ.’)
આ કાવ્ય ગઝલના આકારમાં રચાયું છે.ગઝલનો સામાન્ય નિયમ એવો છે કે પ્રત્યેક શેર વડે સ્વતંત્ર કાવ્ય સર્જાવું જોઈએ. અહીં તેવું થતું નથી. જોકે આપણને મમ-મમથી કામ છે, ટપ-ટપથી નહિ. આપણે હરખભેર કહી શકીએ કે આ એક ઉત્તમ કાવ્ય છે.

-ઉદયન ઠક્કર

5 Comments »

  1. Chitralekha Majmudar said,

    June 1, 2018 @ 3:11 AM

    True. It expresses quite positive feelings towards the in laws’ place and people. It is encouraging and is in absolute colloquial regional sweet language. After all,sentiments are the same all over….Thanks for the very nice poem.

  2. SARYU PARIKH said,

    June 2, 2018 @ 6:45 PM

    વાહ! મીઠું, રોમાંચક ગીત.
    સરયૂ પરીખ

  3. Himanshu Trivedi said,

    March 29, 2019 @ 5:43 PM

    નયનભાઈ દેસાઈ, બહુજ સરસ – વાહ.

  4. vrundavan chandarana said,

    July 21, 2019 @ 3:34 AM

    ગાઋઆટીીટૉ ણા આઋટ્આટાણાણ્ઈ ણૅાણૅ ાઈ ડૂઑ ઊળા
    ાણૅટ ડૂ ણીાળૉ ંઆ ઉદયન થક્કર ણૅૉટૅ!!

  5. vrundavan chandarana said,

    July 21, 2019 @ 3:39 AM

    DUKH NI PALO MA UDYAN THAKKAR NE SODHI LO !
    SAMAY NI AAD MA UDYAN THAKKAR NE SODHI LO !
    MANGAL AVSARE PAN KYA NA PADE CHE UDYAN THAKKAR !
    HU TO KAHU, SAMAY-SANGATHI BANAVI LO, UDYAN THAKKAR !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment