સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર

અશ્રુ – નિરંજન ભગત

તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી રહેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી રહે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી રહૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!

– નિરંજન ભગત

રવીન્દ્રનાથની ગીતાંજલિમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ આ સૉનેટ વાંચતા થયા વિના રહેતી નથી. સહવાસના સંગીતની પરાકાષ્ઠાની વાત છે. પ્રિયપાત્રના સ્મિતને ગીતમાં ઢાળવા માંગતા પ્રિયજનને સ્મિતના સ્થાને સામેથી અશ્રુ પ્રાપ્ત થાય છે ત્યારે પહેલાં તો પ્રિયજન વિમાસણમાં પડે છે પણ પછી એને તરત જ સમજાય છે કે આ અશ્રુ એ પ્રણયની ચરમસીમા છે. આ એક બિંદુમાં પ્રણયોન્માદનો મત્ત સિંધુ ભર્યો પડ્યો છે…

આખું સૉનેટ શિખરિણીમાં લખીને આખરી પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં લખીને કવિ પ્રિયાના અશ્રુની માળાને જરા અલગ તારવી આપે છે એની પણ એક મજા છે.

(પુલકમય=પુલકિત, રોમાંચિત, દોલ=હિંચકો, સ્વરપરશથી=સ્વરના સ્પર્શથી)

Leave a Comment