ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

(ફસલ આવશે) – અશરફ ડબાવાલા

સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.

નમાવે જો મસ્તક તું કાગળ ઉપર,
શબદના લિબાસે કતલ આવશે.

સમાધિમાં ઊંડે ને ઊંડે જશું,
પછી કોઈ આંખો તરલ આવશે.

કદી સાચનો કિલ્લો તોડી જવા,
ધરમની ધજાની નકલ આવશે.

સજાને ક્ષમાની વચોવચ હશું,
ને ઇન્સાફ તારી અદલ આવશે.

આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.

– અશરફ ડબાવાલા

ઇડનના બાગમાં આદમ અને ઇવ સુખેથી રહેતા હતા. શેતાનને ભગવાને સ્વર્ગ બહાર કાઢી મૂક્યો એટલે એને ભગવાન સામે બદલો લેવો હતો. એણે ઇવને સાધન બનાવી અને લલચાવી. બાગના ફળ ખાવાની મનાઈ હોવા છતાં શેતાનના પ્રભાવમાં આવી ગયેલી ઇવના કહેવાથી આદમે સફરજન ખાધું અને ઈશ્વરના રોષનું બંને કારણ બન્યા. બંનેએ પૃથ્વી પર આવવું પડ્યું. સીધી વાત કરે તો એ કવિતા નહીં, માત્ર કથન બની રહે. અહીં મીઠી એ કટાક્ષ છે. સફરજનની મીઠી ફસલ અર્થાત્ લાલચ, છેતરામણીના સંજોગો.. માણસ ફરી છેતરાશે અને ફરી આદમની જેમ એનું પતન થશે.. ટૂંકમાં આ શેર નકારાત્મક વાત કરીને એ હકીકત બયાન કરે છે કે માનવજાત જ્યાં સુધી લલચાવાનું બંધ નહીં કરે, પતનનો સિલસિલો ચાલુ જ રહેશે.

1 Comment »

  1. yogesh shukla said,

    August 23, 2018 @ 4:22 PM

    એક એક શેર લાજવાબ ,
    કવિ શ્રી મને તો ગઝલ ગમી ,,,

    વિચારો વટાવીને આગળ જજો,
    ન કાપી શકો એ મજલ આવશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment