હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.
અશોક ચાવડા 'બેદિલ'

પુરાતન ખલાસીની કવિતા – સેમ્યુઅલ ટેઇલર કોલરિજ (અનુ. વિવેક મનહર ટેલર)

હવા વીંઝાતી, ફીણ ઊડતું,
મુક્તમને અનુસરતો ચીલો;
અમે જ પહેલવહેલો ખોડ્યો એ
મૌન સાગરમાં અમારો ખીલો.

The fair breeze blew, the white foam flew,
The furrow followed free;
We were the first that ever burst
Into that silent sea.

પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા,
થાય વધુ શું દુઃખેય દુઃખી?
અને અમે પણ બોલીએ ત્યારે જ
તોડવી હો સાગરની ચુપકી.

Down dropped the breeze, the sails dropped down,
‘Twas sad as sad could be;
And we did speak only to break
The silence of the sea!

વીતે દિવસ પર દિવસ, અમે સ્થિર
ગતિ જરા નહીં, હવા ન ચાલે;
નિષ્ક્રિય ચિત્રિત જહાજ જેવા
ચિત્રિત સાગર ઉપર જાણે.

Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
પાટિયા સિક્કે ડૂબતા આજે;
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
એક ટીપું નહીં પીવા માટે.

Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink.

છેક મૂળથી ચીમળાઈ ગઈ,
દુકાળગ્રસ્ત થઈ, સૌની વાચા;
અમે ન બોલી શકીએ, જાણે
મેંશ વડે ના હો ગૂંગળાયા.

And every tongue, through utter drought,
Was withered at the root;
We could not speak, no more than if
We had been choked with soot.

ઓહ! કેવો દિ’! કેવી ગંદી
નજરે જોતાં, નાનાં-મોટાં!
ક્રોસના બદલે આલ્બાટ્રોસ જ
વીંટળાયું ગરદન ફરતે આ.

Ah! wel-a-day! what evil looks
Had I from old and young!
Instead of the cross, the albatross
About my neck was hung.

– સેમ્યુઅલ ટેઇલર કોલરિજ
(અનુ. વિવેક મનહર ટેલર)

સેમ્યુઅલ ટેઇલર કોલરિજની અમર કવિતા The Rime of the Ancient Marinerની કુલ ૬૨૫ પંક્તિ અને સાત ભાગમાંથી બીજા ભાગમાંથી કેટલાક દૃશ્યચિત્ર અહીં સમાવિષ્ટ કર્યા છે. પ્રકૃતિના ઘટકતત્ત્વોનો સંહાર અને પરિણામે સર્જાતા વિનાશની આ કથા પારલૌકિક ઘટકતત્ત્વોની પાર્શ્વભૂ વચ્ચે રમાતી મિથ્યાભિમાન, પીડા, એકલતા, પરિવર્તન અને પ્રાયશ્ચિતની કથા છે.

લગ્નસમારંભમાં જતા એક અતિથિને અટકાવીને વશીભૂત કરીને ઘરડો ખલાસી પોતાની સમુદ્રયાત્રાની લાંબી વાર્તા સંભળાવે છે. સારા શુકન છતાં જહાજ ઘસડાઈને દક્ષિણમાં પહોંચી જાય છે. એક આલ્બાટ્રોસ પંખી જહાજ સાથે થાય છે જેને પહેલાં બધા શુકનિયાળ ગણે છે પણ ખલાસી એનો શિકાર કરે છે. પહેલાં સાથીઓ શિકાર કરવા માટે એનો તિરસ્કાર કરે છે પણ બીજી જ પળે એને વધાવે છે અને ખલાસીના ગુનામાં ભાગીદાર બને છે. એક ભૂતિયું જહાજ રસ્તે ભટકાય છે જે પર એક હાડપિંજર (‘મૃત્યુ’) અને એક નિઃસ્તેજ વૃદ્ધા (‘મૃત્યુ-માં-જીવન’) જૂગટું રમતા હોય છે. મૃત્યુ તમામ ખલાસીઓનાં જીવન જીતી જાય છે અને ‘મૃત્યુ-માં-જીવન’ ખલાસીની જિંદગી. તમામ સાથીમિત્રો અવસાન પામે છે અને સાત દિવસ અને સાત રાત ખલાસી ભૂખ્યો-તરસ્યો લાશોની અને દરિયાની વચ્ચે કાઢે છે. સમુદ્રી જીવોની કદર કરવા બદલ એ શાપમુક્ત થાય છે, વરસાદ પડે છે, એના ગળામાં ઈશુના ક્રોસની જેમ વીંટાળી દેવાયેલ પક્ષી ખરી પડે છે, પ્રેતાત્માઓ જહાજ હંકારી કાંઠે લાવે છે. એક સાધુ ડૂબતા જહાજ પરથી ખલાસીને ઊગારી લાવે છે. પક્ષીહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે માટે ખલાસી સતત ભટકતો રહે છે અને મળનાર લોકોને પકડી-પકડીને પોતાની વાર્તા સંભળાવે છે જેથી સાંભળનાર વધુ ગંભીર અને ડાહ્યો બની શકે.

Leave a Comment