હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
સુંદરમ્

લોકગીતોત્સવ: ૦૧ : હાજી કાસમ, તારી વીજળી – લોકગીત

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ

ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર [ 14 * 20 = 280 ]

અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર

ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન [ વિશ્વાસ ]

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય

ચહમાં [ ચશ્માં ] માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર [ કાચની બોટલમાં સંદેશો લખી તરતો મૂકવો ]

હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ

સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય

વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ

સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર

મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ [ ગોરી મેડમ ] બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ…….

 

 

વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું, તેની અંતિમ સફરની આ અમર ગાથા છે.

એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું આ જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી [ પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી.]. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું

આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.

હું ઘણો નાનો હતો ત્યારે આ ગીત કોઈક સામાયિકમાં વાંચેલું [ ઘણું કરીને જનક્લ્યાણમાં ] અને ત્યારથી એ સ્મૃતિપટ પરથી કદી ભૂંસાયું નથી….

2 Comments »

  1. સુરેશ જાની said,

    December 5, 2017 @ 1:38 AM

    અમારા ગુજરાતીના પાઠયપુસ્તકમાં હતું. અમારા ગુજરાતીના શિક્ષકે એનું રસદર્શન કરાવેલું. ભાવુક બનીને આંખો ભીની થઈ ગઈ હતી – તે યાદ આવી ગયું.
    એનો વિડિયો ..

  2. pragnaju vyas said,

    December 5, 2017 @ 7:09 AM

    જહાજ ડૂબ્યું આ સાથે જ યાદ આવે – ટાઈટેનિકની ભયાનક દાસ્તાન અને અંધારી રાતની કારમી ચીસો.ગુજરાતના ઇતિહાસ અને ગુજરાતી લોકસાહિત્યમાં ન ભૂલી શકાય તેવી કરુણાંતિકા એટલે હાજી કાસમના જહાજ વીજળીની જળસમાધિ. આ જહાજની જળસમાધિ બાદ આ જહાજની કોઈ નિશાની મળી નથી. આ જહાજ કેવી રીતે ડૂબ્યું? શું થયું ? તે અંગે રહસ્ય હજુ અકબંધ છે. ફરી ફરી માણવાનું ગમે તેવુ આ લોકગીત મા સુજા એ -‘અમારા ગુજરાતીના શિક્ષકે એનું રસદર્શન કરાવેલું. ભાવુક બનીને આંખો ભીની થઈ ગઈ હતી’ અમારો પણ અનુભવ હતો
    તેના સાંસ્કૃતિક પ્રભાવ અંગે પણ સમજાવતા-‘ આ ઘટનાને કારણે ઘણી દરિયાઈ લોકવાયકાઓ, દંતકથાઓ અને ગીતોની રચના થઇ અને ગુજરાતમાં લોકપ્રિય અને જાણીતી બની. લોકગીતોમાં આ જહાજને વીજળી તરીકે ઓળખાયું અને તેના કપ્તાન હાજી કાસમ સાથે જાણીતું બન્યું. હાજી કાસમ નૂર મહંમદ એ પોરબંદરમાં શેફર્ડ કંપનીનો બૂકિંગ એજન્ટ પણ હતો.
    જહાજના ખોવાયાં પછી, જામનગરના કવિ, દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે વિજળી વિલાપ નામના ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ભીખારામ સાવજી જોષીએ પણ આ નામનું બીજુ પ્રકાશન પ્રગટ કર્યું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારના લોકગીતો ભેગા કરીને સંગ્રહ, રઢિયાળી રાત, માં “હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ” હેઠળ પ્રકાશિત કર્યું. ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્ય એ હાજી કાસમ તારી વીજળી ના નામે આ ઘટના પરથી નવલકથા લખી હતી.
    આ ગીતની અનેક ઓડિયો-વીડીયો મળે છે તેમાનો એક સુ જાએ પ્રગટ કરેલ માણો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment