જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
અનિલ ચાવડા

ઈર્શાદગઢ : ૦૫ : સૉનેટ : વૃદ્ધ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

હવેલી સૂની છે, ખખડધજ છે, જીર્ણ પણ છે
હજી સન્નાટાની હરફર; હજી એક જણ છે
અને એ છે એથી પવન સરખો શ્વાસ પણ છે
અને રોજે રોજે વિકસિત થતું એક રણ છે.

હજી ઊના ઊના રવિકિરણથી તપ્ત કણમાં
તરંગાતાં લ્હેરે મૃગજળ અહીં નેત્ર છળતાં
બધા જૂના ચ્હેરા અવિરત હજી ચિત્ત મઢતા
પ્રસંગે બોલાયા સ્વર, બધિર કાને ખખડતા.

ખવીસે પાળેલા જડભરત એકાંત સરખું
ભલે ભુરાટેલું અણસમજ એ હિંસક પશુ
ધસે ભીંટો ત્યારે ભરભર ભૂકો થાય પળમાં
હવેલી જૂની છો કણ કણ વિખેરાય…

ભલે તોડીફોડી કણ કણ કરે કાળ તદપિ
હવેલી હીંચે છે વયવગરના વૃદ્ધ મનમાં.

– ચિનુ મોદી

સાંપ્રત સમયમાં ચિનુ મોદીએ નાનાવિધ કવ્યપ્રકારોમાં જેટલું ખેડાણ કર્યું છે એટલું ભાગ્યે જ કોઈ કવિએ કર્યું હશે. કવિ ઉત્તમ સૉનેટકવિ પણ ખરા. પ્રસ્તુત સૉનેટ કવિના પ્રિય શિખરિણીમાં જ આલેખાયું છે. દીકરાઓ ત્યજીને ચાલ્યા જાય પછી ગામની સૂની હવેલીમાં માત્ર સન્નાટાની હરફર છે, બરાબર એ જ રીતે જેમ વૃદ્ધના ખખડધજ શરીરમાં શ્વાસની છે. હવેલીની અંદર સતત રણ વિકસતું રહે છે. કાન બહેરાં થઈ ગયાં છે પણ ભૂતકાળનાં પ્રસંગો હજી અકબંધ સંભળાય છે. હિંસક એકાંત ભૂરાયું થાય ત્યારે જૂની હવેલીના કણ કણ વિખેરાઈ જાય છે. ભલે કાળની હથોડી હવેલીના કાંગરા રોજ-રોજ કેમ ન ખેરવતી જતી હોય, વૃદ્ધના મનમાં હવેલીનું વય વગરનું એ જ ઐશ્વર્ય સદાબહાર અકબંધ છે, હતું ને રહેવાનું… સમય ભલે ભલભલાંનો કળિયો કેમ ન કરી જાય, સ્મરણ કાળાતીત છે, ટાઇમપ્રુફ છે.

4 Comments »

  1. Neha said,

    March 24, 2017 @ 1:38 AM

    Gaya asmitaparv ma emne saambhaLya tyare emni saathi mitro thi vikhuTa paDya ni piDa spashT vartaai aavi hati. Aa kavy no ranj paN bhitar bhinjvi jaay evo chhe. Salaam kavi !

  2. Devika Dhruva said,

    March 24, 2017 @ 8:30 AM

    વાસ્તવિક્તા અને સનાતન સત્યનું કેવું સુંદર ચિત્રણ!!

  3. RAKESH THAKKAR, Vapi said,

    March 24, 2017 @ 12:30 PM

    Very nice

  4. Maheshchandra Naik said,

    March 25, 2017 @ 8:46 PM

    વર્તમાન અને વ્યસકનુ મનોમન્થન……સલામ ચિનુ મોદી સાહેબ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment