શોધું છું પંચતંત્રનો એ કાચબો બધે;
જેને મળું છું, સસલું છે- આરંભે શૂરું છે.
- વિવેક મનહર ટેલર

ઈર્શાદગઢ : ૦૩ : અછાંદસ : મારું મૃત્યુ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

અનેક રસ્તાઓ
તમારે એકમાર્ગી બનાવવા પડશે.
અનેક શહેરી વિસ્તારોને
સાઇલન્સ ઝોન ડિક્લેર કરવા પડશે.
વિચારોથી ધમધમતા
અનેક મસ્તિષ્કોમાં
તમારે કરફ્યુ નાખવો પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

પહેલાં તો તમારે
મારું નવું ડેસ્ટિનેશન શોધી કાઢવું પડશે,
મારું નવું સરનામું
તાર-ટપાલ અને આંગળિયા સર્વિસવાળાને
લખાવી દેવું પડશે.
મારા ફોન-ફેક્સ નંબર જાણવા પડશે.
ઇ-મેઇલ એડ્રેસ મેળવવું પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

તમારે નવાં રેલવે સ્ટેશન,
એરપોર્ટ્સ
પૉર્ટ્સ
અને એક્સપ્રેસ હાઇવેઝની
ફેસિલિટિઝ ઊભી કરવી પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

મારા નિશ્ચેતન પડેલા દેહને
બાળવા,
દાટવા
કે પાણીમાં પધરાવવાના
વિચાર ન કરશો.
થોડી વારે એ હવાનો હિસ્સો થશે.
મર્યા પછી જીવની માફક જ
દેહ છૂ થઈ જવાનો કિસ્સો
મશહૂર કિસ્સો બનશે.
મારું મૃત્યુ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

– ચિનુ મોદી

૨૦૦૯ની સાલમાં ચિનુ મોદી આ અછાંદસ લખી ગયા એ જાણે છેલ્લી ગુડબાય કહેવા માટે જ ન લખ્યું હોય! દેહદાન કરવાનો વિચાર શું એ વખતથી એમના મનમાં ચાલતો હશે? કવિનું મૃત્યુ આમેય નાનીસૂની ઘટના નથી હોતી. કવિ કોઈપણ દેશ-કાળમાં સંસ્કૃતિના સાચા પ્રહરી હોય છે. સિકંદર યુદ્ધમાં પોતાના સૈનિકોને ખાસ આદેશ આપે છે કે આખા નગરને બાળી નાખજો, બધું લૂંટી લેજો પણ કવિઓને કોઈ પણ પ્રકારનું નુકશાન ન કરશો કેમ કે કવિ જ સમાજનો ખરો આત્મા છે.

1 Comment »

  1. Rakesh Thakkar, Vapi said,

    March 23, 2017 @ 11:11 PM

    કવિ સાચું જ લખી ગયા છે…
    …. મારું મૃત્યુ નાનીસૂની ઘટના નથી
    મિત્રો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment