જાતમાંથી કંઈક જાતું હોય છે.
આ બધું ત્યારે લખાતું હોય છે.
નીતિન વડગામા

પણ… – કૈલાસ પંડિત

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ…

કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ…

કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ…

ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ…

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ…

– કૈલાસ પંડિત

આ શાયર અંગત રીતે મને બહુ ગમતા શાયર છે. કદાચ વિવેચકો તેમને બહુ માર્ક્સ ન આપે એવું બને પણ તેઓ જે રીતે દર્દને સચોટ રજૂ કરે છે તે રીતમાં એક નિર્ભેળ સચ્ચાઈ દેખાય છે. વિષયવૈવિધ્ય તેઓનું સબળ પાસું કદાચ ન પણ હોય પરંતુ જે લખ્યું છે તે સીધું દિલથી નીકળ્યું છે !

3 Comments »

  1. Ketan Yajnik said,

    February 22, 2017 @ 7:12 AM

    સીધા સાદા શબ્દોમાં સોંસરવી વાત

  2. Rakesh Thakkar, Vapi said,

    February 22, 2017 @ 7:27 AM

    ખરેખર કૈલાસ પંડિત સાહેબ દિલ સે !

  3. Maheshchandra Naik said,

    February 22, 2017 @ 9:56 PM

    ભૂલી જવાના જેવો હશે ઍ બનાવ પણ,
    ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
    સરસ,સરસ ………ગઝલ કૈલાસ પંડીત સાહેબને સલામ
    આપને અભનદન…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment