તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

યાદગાર મુક્તકો : ૦૯ : ખલીલ ધનતેજવી, ભગવતીકુમાર શર્મા, વિવેક મનહર ટેલર

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

જીવનમાં ‘Ego’ રાખીને જીવીશું તો પેલા આંધીના વૃક્ષની જેમ સાવ જળમૂળથી ઉખડી જઈશું… પણ જો તરણા જેવા હળવા બનીશું તો ગમે એટલા સંઘર્ષમય સમયમાંથી પણ સહજતાથી પસાર થઈ જઈને ભારવિહીન જીવનને ભરપૂર માણી શકીશું… જિઁદગી અંતે ભલે થાકી જાય પણ જીવવાનો થાક નહીં લાગે એ રીતે જીવાયેલું જીવન જ સાચા અર્થમાં સાર્થક કહેવાય… કવિતામાં ખુમારી ભારોભાર પિરસવી એ ખલીલભાઈની ખૂબી છે.

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંધ છું

– ભગવતીકુમાર શર્મા

આ મુક્તક વાંચતાવેંત જ એક ઘોર નિરાશા ઘેરી વળે છે… જે આપણને અંદરથી અકળાવી જાય છે. જરાસંધની સાથે પોતાને સરખાવીને કવિ જણાવી દે છે કે પોતાના જીવનને વરદાન નહીં પરંતુ શાપરૂપ માને છે. જેમ જરાસંધના જીવનનો અંત એના શરીરનાં બે ટુકડા વચ્ચે રેતીનાં ઢગલો કરી શિવલીંગ બનાવવાથી થતો શ્રીકૃષ્ણને ભીમને બતાવેલો… એમ જ કવિ પણ ઈશ્વર પાસે જીવનથી છુટકારો માંગે છે.

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એવી રીતે-
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.

-વિવેક મનહર ટેલર

ચિરવિરહ પછી વિરહની બધી ફરિયાદો અને સઘળી વેદનાઓને પળમાં ઓગાળી નાંખતું મધુરું મિલન.. એમ જ માણીશું!

1 Comment »

  1. KETAN YAJNIK said,

    December 16, 2016 @ 7:10 AM

    જિંદગી તારાથી હું થાક્યો નથી

    છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું

    હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;

    ચોથુ ચરન તમાર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment