બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

સાંજ પહેલાં જ આથમી ગયેલો સૂર્ય : શીતલ જોશી

shital-joshi

કોઈ ભાગાકાર અર્થોના કરે છે,
શબ્દ જેવું શેષમાં તો પણ વધે છે.

હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.

મૂળ શોધ્યા ના જડે એના કદી પણ,
પીપળા જે ભીંત ફાડીને ઉગે છે.

કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.

હું ‘શીતલ જોશી’ અરે! હા, એ જ છું હું,
સાંજ પ્હેલાં સૂર્ય જેનો આથમે છે.

– શીતલ જોશી

અમેરિકાસ્થિત કવિમિત્ર શીતલ જોશીને રૂબરૂ મળવાનું કદી થયું નહીં, શબ્દ-દેહે જ અમે મળતા રહ્યા. અચાનક ફેસબુકના માધ્યમથી જાણ થઈ કે હૃદયરોગના હુમલાએ ખૂબ નાની ઉંમરે એમના ક્ષરદેહને આપણી વચ્ચેથી છિનવી લઈ માત્ર અ-ક્ષરદેહ રહેવા દીધો છે. સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત હો એ જ પ્રાર્થના.

મધ્યાહ્ને અસ્તાચળનો અણસાર શું કવિને આવી ગયો હશે ? મક્તાના શેરમાં જે ભવિષ્ય એમણે ભાખ્યું છે એ જ એમના જીવનમાં થયું…

6 Comments »

  1. Chitralekha Majmudar said,

    October 8, 2016 @ 1:02 AM

    very touching,after knowing the situation.

  2. Jignasa Oza said,

    October 8, 2016 @ 12:51 PM

    Lovely! Rest in peace

  3. મનસુખલાલ ગાંધી, U.S.A. said,

    October 8, 2016 @ 10:00 PM

    પ્રભુ એમના આત્માને શાંતી અર્પે એવી પ્રાર્થના…………..

  4. Devika Dhruva said,

    October 9, 2016 @ 10:19 AM

    હું તો શીતલભાઈને મળી છું અને ફ્લોરીડા યુનિ. આયોજિત પોએટ્રી ફેસ્ટીવલમાં તેમને કાવ્યપઠન કરતા સાંભળ્યા પણ છે. તેથી આ સમાચારે ખૂબ દુઃખ થયું. મધ્યાન્હે સૂર્યાસ્ત સમજાતો નથી. ઈશ્વર તેમના અત્માને સદગતિ બક્ષે.

  5. Rakesh Thakkar, Vapi said,

    October 10, 2016 @ 2:34 AM

    સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાય.
    તેમની સુંદર રચના રજૂ કરવા બદલ લયસ્તરોનો આભાર.
    મૂળ શોધ્યા ના જડે એના કદી પણ,
    પીપળા જે ભીંત ફાડીને ઉગે છે.

  6. Rekha Shukla said,

    October 12, 2016 @ 12:07 PM

    હું તો શીતલભાઈને મળી છું અને ફ્લોરીડા યુનિ. આયોજિત પોએટ્રી ફેસ્ટીવલમાં .. તેથી આ સમાચારે ખૂબ દુઃખ થયું. મધ્યાન્હે સૂર્યાસ્ત સમજાતો નથી. ઈશ્વર તેમના અત્માને સદગતિ બક્ષે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment