પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !
વિવેક મનહર ટેલર

ગઝલ – જયંત ડાંગોદરા

જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.

રૂપ રસ ગંધ કે શબ્દ સ્પર્શેય ના,
સાચવ્યું ફક્ત હોવાપણું આપણે.

એટલું આવડે તો ઘણું થઈ ગયું,
કાઢવું કેમ ખુદનું કણું આપણે.

થાય પથ્થર થવાકાળ ભગવાન, પણ
મેળવ્યું શું બની ટાકણું આપણે.

તેજના કુંડમાં દેહ ડૂબી ગયો,
ખોલવા જ્યાં ગયા બારણું આપણે.

– જયંત ડાંગોદરા

સ્મરણની આગ સતત સંબંધને રોશન રાખે છે. આપણે આપણા અસ્તિત્વની પળોજણમાં જ એવા રચ્યાપચ્યા રહીએ છીએ કે સંસારના સાચા રસોથી અલિપ્ત જ રહી જઈએ છીઈ. જીવનમાં બીજું કંઈન આવડે તો ચાલશે, માત્ર પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવતા આવડવો જોઈએ. પથ્થરને ભગવાન બનાવનાર આપણે. પથ્થરનો તો બેડો પાર થઈ ગયો પણ આપણો? અને સાચો પ્રકાશ તો બહાર ઊભો જ છે આપણી પ્રતીક્ષામાં, જરૂર માત્ર છે આપણે આપણાં મનોમસ્તિષ્કના બારી-બારણાં ખોલવાની.

3 Comments »

  1. CHENAM SHUKLA said,

    October 21, 2016 @ 3:03 AM

    થાય પથ્થર થવાકાળ ભગવાન, પણ
    મેળવ્યું શું બની ટાકણું આપણે……vaah..vah

  2. નિનાદ અધ્યારુ said,

    October 21, 2016 @ 3:38 AM

    તેજના કુંડમાં દેહ ડૂબી ગયો,
    ખોલવા જ્યાં ગયા બારણું આપણે.

    ઉત્તમ !

  3. poonam said,

    October 24, 2016 @ 5:46 AM

    એટલું આવડે તો ઘણું થઈ ગયું,
    કાઢવું કેમ ખુદનું કણું આપણે… Waah !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment