હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
– ખલીલ ધનતેજવી

ગઝલ – કુલદીપ કારિયા

પાંખો કદીક એવડી, જો ફૂટી નીકળે,
આખી નદી ઊડે અને જોવા મને મળે.

વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.

જ્યારે ધીરજ તૂટી અને વેરાઈ જાય છે,
સાવરણી જેમ ચોતરફ આંખો ફરી વળે.

તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.

માથુ ભલેને આભમાં અથડાય રોજ રોજ
કુલદીપ લખી શકે છે એ નીચે નહીં વળે.

– કુલદીપ કારિયા

સૂર્યનો તાપ અને રસ્તાઓ પર થતી અસરના બે શેર ખાસ જોવા જેવા છે. જેમ જેમ ગરમી વધે એમ એમ લોકો ઘર બહાર નીકળવાનું ટાળે અને રસ્તાઓ ઉજ્જડ ભાસે એ સૂકી હકીકતને કવિના ચશ્માં કેવી રીતે કવિતામાં ફેરવે છે એ જોવા જેવું છે. બરફના ચોસલાં જેમ ગરમીથી ઓગળીને અદૃશ્ય થઈ જાય એમ જ કવિ વાહનોને અદૃશ્ય થઈ ગયેલાં જુએ છે. બીજી તરફ કવિ તડકાને વરસાદના રૂપમાં તાદૃશ કરે છે. વરસાદ વરસતો રહે ત્યાં સુધી રસ્તાઓ ભીનાં ને ભીનાં જ રહે છે, કોરાં થયા પછી જ પૂર્વવત્ થાય છે. કવિ તડકાના વરસાદથી સર્જાતા ઝળહળાટને તડકાનું પાણી કલ્પીને કમાલ કરે છે.

જો કે નવાનક્કોર કલ્પન સર્જવાનો આવેશ કવચિત્ અતિરેકમાં પરિણમવાની ભીતિ પણ રહેલી જ છે. મત્લાનો શેર એનું ઉદાહરણ છે.

5 Comments »

  1. Saryu Parikh said,

    October 7, 2016 @ 9:16 AM

    સરસ કલ્પન.
    ટ્રાફિકની જગા વાહનો શબ્દ લઈ શકે.
    સરયૂ પરીખ

  2. વિવેક said,

    October 7, 2016 @ 9:48 AM

    @ સરયૂ પરીખ:

    વાહન શબ્દ શેરની શરૂઆતમાં વપરાયેલો જ છે…

  3. Rakesh Thakkar, Vapi said,

    October 8, 2016 @ 12:14 AM

    વાહ!
    તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
    કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.

  4. Sudhir Patel said,

    October 8, 2016 @ 3:30 PM

    સુંદર ગઝલનો ત્રીજો શે’ર અને મક્તા કમાલનાં છે!

  5. poonam said,

    October 13, 2016 @ 4:32 AM

    જ્યારે ધીરજ તૂટી અને વેરાઈ જાય છે,
    સાવરણી જેમ ચોતરફ આંખો ફરી વળે.
    – કુલદીપ કારિયા – Kya baat !
    13/10/16 aaj world sight day he !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment