કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.
હર્ષદ ત્રિવેદી

બહારો ન આવે – ‘ગની’ દહીંવાળા

રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત-દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુઃખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ, દોડો, જરા જઈને રોકો, ધસી કંઈ વમળમાં કિનારો ન આવે.

મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.

કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું,
ખુશીથી જજે જિંદગી તું ય ચાલી, તને જયારે વિશ્વાસ મારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું, ન કહેજે કોઈને ભલી ચાંદની તું,
સિતારા કરે વાત ગઈ રાતની તો, કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

‘ગની’ , મારી રાતોના દિવસ ફરે તો, ફરી જાય આ પ્રકૃતિની પ્રથા પણ,
ચમનમાં જણાયે ન અશ્રુનાં ચિહ્નો, પછી રક્તવર્ણી સવારો ન આવે.

-‘ગની’ દહીંવાળા

અલગ અલગ ભાવના શેર છે સઘળા. ક્યાંક મહોબ્બતનો મહિમા છે તો ક્યાંક જીવનથી નિરાશા છે…..

2 Comments »

  1. મયુર કોલડિયા said,

    September 19, 2016 @ 3:19 AM

    ખુબ સરસ ગઝલ…..

    હતું કોણ સાથે અને ક્યાં હતો હું, ન કહેજે કોઈને ભલી ચાંદની તું,
    સિતારા કરે વાત ગઈ રાતની તો, કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

    બીજા શેરમાં ધારા ની જગ્યાએ કદાચ ધરા આવે છે……

  2. Rakesh Thakkar, Vapi said,

    September 20, 2016 @ 7:16 AM

    vaah
    હતું કોણ સાથે અને ક્યાં હતો હું, ન કહેજે કોઈને ભલી ચાંદની તું,
    સિતારા કરે વાત ગઈ રાતની તો, કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment