ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !
– મેહુલ એ. ભટ્ટ

નડે – રઈશ મનીઆર

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી ! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

– રઈશ મનીઆર

રઈશભાઈની પચાસમી વર્ષગાંઠ શુક્રવાર 19મીએ ગઈ. તેઓની નિરંતર શબ્દસાધનાને સલામ સાથે આ ગઝલ રજૂ કરી છે……

4 Comments »

  1. Rakesh Thakkar said,

    August 21, 2016 @ 1:57 AM

    એવી શુભકામના કે રઇશભાઇને કશું ના નડે !
    વાહ !
    નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
    આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

  2. Ketan Yajnik said,

    August 21, 2016 @ 11:00 AM

    khub saras

  3. chandresh said,

    August 24, 2016 @ 5:07 AM

    પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
    દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

    saras

  4. Nehal said,

    August 26, 2016 @ 5:10 AM

    Waah adbhut!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment