જાણ છે - કોનાં સ્મરણરૂપે તું છે ?
આંસુ, વ્હાલા; આટલું બરછટ ન હો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સૂતી હતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં :
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા :

ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ :

અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી :
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી :

જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે ? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી !

પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!

– કૃષ્ણલાલ શ્રીધરાણી

દેશ આખો ગાંધીજીના પ્રભાવમાં અને પ્રવાહમાં કેદ હતો એવા ટાણે ૧૯૩૨ની સાલમાં શ્રીધરાણી પાસેથી આવું ઉમદા રતિરાગનું કાવ્ય મળે છે.

સંભોગની ચરમસીમા પછીની આરામની પળોમાં જોવા-બોલવાનું કશું હોતું નથી, મનોભાવ વાંચવાનુંય વ્યર્થ છે. બે દેહ એક થઈ જાય એનું પ્રેમગાન જ અબોલ સાદ કરતું હોય છે. આવામાં ચંદ્રની ચાંદની પ્રિયાના હોઠ પર પડતી જોઈ કવિની ‘પઝેસિવનેસ’ જાગૃત થાય છે. પણ ચાંદનીને હટાવવા ચંપાના પાંદડાનો પડછાયો કામમાં આવે છે એ પણ બીજી જ ક્ષણે પ્રિયાના અધરોષ્ઠ ચુંબનમાં ભાગ પડાવી કવિને હરાવી જતો હોય એમ લાગે છે.

કવિતા વાંચીએ ત્યારે આધિભૌતિક કવિતા (મેટાફિઝિકલ પોએટ્રી)ના પિતા જોન ડૉનની “ધ સન રાઇઝિંગ” કવિતા યાદ આવી જાય જેમાં રતિરત પ્રિયતમાને બારીના પડદા વચ્ચેથી પ્રવેશીને ખલેલ પહોંચાડતા સૂર્યને કવિ ખખડાવે છે.

 

3 Comments »

  1. KETAN YAJNIK said,

    August 5, 2016 @ 5:39 AM

    માત્રા મેલમાં ગરીમાથી વિનયથી વિનયમાં

  2. Saryu parikh said,

    August 5, 2016 @ 9:47 AM

    Wah, glad you shared this poem
    Saryu Parikh

  3. Harshad V. Shah said,

    August 7, 2016 @ 3:13 AM

    Very good – married couple – relations

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment