તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !
અદી મિરઝાં

સરિસૃપ કવિ – મનીષા જોષી

હું જાણું છું,
અત્યારે મારી નજર સામેથી
આ ખિસકોલીની જેમ,
બેધડક સરકી રહ્યો છે એ સમય,
ફરી પાછો નહીં આવે.
પણ એક કવિ તરીકે
મારે હવે ખાસ કંઈ કહેવાનું બાકી નથી રહ્યું.
સાંજે હું ચાલવા નીકળું ત્યારે
ઘણીવાર જોઉં છું,
ધૂળમાં બનાવેલા પોતાના દરમાં
અંદર સરી જતા જીવ-જંતુઓને.
સાંજ ઢળવા લાગે, અંધારું ઘેરું બને
અને હું ઘર તરફ પાછી વળતી હોઉં ત્યારે,
વિચાર આવે,
શું કરતા હશે,
આ જીવ-જંતુઓ અત્યારે, અંદર, પોતાના દરમાં ?
અને કોઈવાર ઇચ્છા થઈ જાય કે
પગથી થોડી ધૂળ ખસેડીને
આ બધા, મારા રસ્તામાં આવતા દર પૂરી દઉં.
શું કરવા આ સરિસૃપો રોજ બહાર નીકળે છે ?
હું કવિ છું,
અને હવે મારે કંઈ લખવું નથી.

– મનીષા જોષી

દરેક સર્જકના જીવનમાં એકાધિકવાર એવા મુકામ જરૂર આવે છે જ્યારે એને એવું લાગે કે હવે એની પાસે નવું સર્જવા માટે કશું બચ્યું નથી. અને આ ખાલીપાની લાગણીમાંથી જ ફરી એકવાર સર્જક ફિનિક્સ પંખીની જેમ બેઠો થતો હોય છે. કવિ જાણે છે કે જે સમય પસાર થઈ રહ્યો છે એ પાછો નહીં આવે અને છતાં આ પસાર થતા સમયનો સદુપયોગ સિસૃક્ષાના અભાવે કરી શકાતો નથી એ પીડા રોજિંદી દિનચર્યા સાથે બસ, વણાયેલી રહી જાય છે. પણ આખરે તો દરેક સર્જક એક સરિસૃપ સમો છે… લાખ ઇચ્છા થતાં એના ઘર ધૂળથી ઢાંકી શકાતા નથી અને બહારથી ભીતર અને ભીતરથી બહારની એની યાત્રા -સર્જન- યેનકેન પ્રકારે ચાલુ જ રહે છે…

4 Comments »

  1. Rajul said,

    June 26, 2015 @ 4:22 AM

    અવસાદયોગ!

  2. falguni vasani said,

    June 26, 2015 @ 1:57 PM

    વાહ નિનાદ બહુ સરસ ગઝલ

  3. Maheshchandra Naik (Canada) said,

    June 26, 2015 @ 4:01 PM

    ખાલીપાની લાગણીનુ સરસ કાવ્ય….

  4. Harshad said,

    June 26, 2015 @ 9:29 PM

    ખૂબ જ સુન્દર !! Hats off for Manisha.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment