વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

ગાંધી – સુન્દરમ્

પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને;
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ને ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ;
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન સરલા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો, પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

– સુન્દરમ્

પ્રથમ દૃષ્ટિએ કવિતા વધુપડતી મુખર લાગે પણ કવિએ વાચાળ થઈને પણ સૂક્ષ્મતાપૂર્વક સર્વકાલીન સત્ય અદભુત રીતે કવિતામાં વણી લીધું છે. આ સત્ય દરેક યુગનું સત્ય છે. બળનો યુગ ઉદય પામે, ધરા-આકાશ-સમુદ્ર બધું જ કાબૂમાં કરી લે, નિર્બળ લોકોનો શિકાર ખેલે અને એમના રક્ત સીંચીને મહાલયો ખડા કરે…

ગીતાના यदा यदा हि धर्मस्यના નિયમ મુજબ ક્યારેક ઈસુ તો ક્યારેક બુદ્ધ તો ક્યારેક ગાંધી ધરતીના રુદનમાંથી જન્મ લે છે અને કવિ સુન્દરમ્ ગાંધીવાણીના રૂપે આપણને અજર-અમર કહેવત આપે છે: “હણો ના પાપીને… …ગુપ્ત બળથી”

પણ ધરતીમાં જ કંઈ સમસ્યા છે કે શું પણ વિશ્વપ્રેમના બીજ વાવ્યાં હોવા છતાં મરણપથ સમું પાપ જ ઊગે છે… (જો કે વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું એવો અર્થ પણ અંતિમ બે પંક્તિનો અન્યો વડે કરવામાં આવ્યો છે)

(છંદ: શિખરિણી, શૈલી: શેઇક્સપિરિઅન)

 

2 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    October 2, 2014 @ 3:33 AM

    સુંદર રચના
    પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
    ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

  2. Harshad said,

    October 3, 2014 @ 8:46 PM

    Very Nice. Difficult to understand each line,need real Kavi Heart.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment