ગીત – વિનોદ જોશી
તું મીંઢળ જેવો કઠ્ઠણ
. ને હું નમણી નાડાછડી !
તું શિલાલેખનો અક્ષર
. ને હું જળની બારાખડી !
એક આસોપાલવ રોપ્યો,
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઇ આવ્યો પોયણમાં હું ખૂલી;
તું આળસ મરડી ઊભો
. ને હું પડછાયામાં પડી !
એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યા તેં સરવાળા;
તું સેંથીમાં જઈ બેઠો ને હું પાંપણ પરથી દડી !
– વિનોદ જોશી
“તું આમ ને હું આમ”ની લોકગીતની ચાલમાં ચાલતું ગીત પણ એક-એક કલ્પન પાસાદાર. મને જળની બારાખડી સ-વિશેષ ગમી ગઈ… સાહ્યબો સાદા પથ્થર પરનો અક્ષર નહીં, શિલાલેખ પરનો અક્ષર છે. કેવું કલ્પન! શિલાલેખ પરનો અક્ષર એટલે સદીઓ વીતી જાય તોય ન બદલાય એવો. અને જળની બારાખડી ! કોઈ એક પળેય એ સ્થિર રહી શકે? વાહ ! વાહ ! વાહ !!
Sandip Bhatia said,
October 25, 2014 @ 9:00 AM
ગુજરાતી ભાષાની નજાકતને વિ.જો. પૂરેપૂરી ખોલી આપે છે. આ ગીતમાંતો કશુંય દુર્બોધ કહી શકાય એવું નથી. બધુંજ દીવા જેવું સ્પષ્ટ છે. પણ એમની ઘણી રચનાઓમાં અને ઘણી પંક્તિઓમાં એવું બને કે અર્થબોધ હજી પૂરેપૂરો થયો ન હોય પણ ભાષા અને ફોનેટીક્સનું ધોધમાર લાવણ્ય તમને, મૂકને અર્થની ઝંઝટ, કહેતું ક્યાંને ક્યાંય તાણી લઇ જાય. … મારું ગમતીલું ગીત. ..આભાર !
Manish V. Pandya said,
October 25, 2014 @ 9:01 AM
સુંદર.
M.D.Gandhi, U.S.A. said,
October 25, 2014 @ 2:20 PM
સુંદર ગીત છે…………
વિવેક said,
November 3, 2014 @ 1:04 AM
@ સંદીપ ભાટિયા:
ખૂબ સરસ રીતે આપે મૂલવણી કરી આપી… આભાર !