નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું.
સુંદરમ્

શા માટે ? – ‘ગની’ દહીંવાળા

જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?
નૌકાને વળી લંગર કેવું ? સાગરને કિનારો શા માટે ?

સેકાઈ ચૂકયું છે કૈંક સમે સૌંદર્યથી ઉષ્માથી જીવન,
આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે ?

મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે ?

પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :
રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે ?

મૃત્યુ એ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,
અંધાર ન હો જ્યાં રજનીનો ,પૂજાય સવારો શા માટે ?

અપમાન કરીને ઓચિંતા મહેફિલથી ઉઠાડી દેનારા !
મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો’તો અવકાશ અમારો શા માટે ?

તોફાન તો મનમાન્યું કરશે પણ એક વિમાસણ છે મોટી :
નૌકાને ડુબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે ?

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે ?

– ‘ગની’ દહીંવાળા

હું તો મત્લા પર જ આફરીન થઇ ગયો…….

મક્તાના બીજા ચરણમાં છંદ તૂટતો લાગે છે-જાણકારો પ્રકાશ પાડે……

8 Comments »

  1. વિવેક said,

    August 24, 2014 @ 2:45 AM

    ગનીચાચાની ખૂબ જાણીતી ગઝલ… એક-એક શેર પાણીદાર…

    મક્તાના શેરનો છંદ પણ બરાબર જ છે, તીર્થેશ… “ગાગાગાગા”ના ચાર આવર્તન છે. ગનીચાચા તો ઉસ્તાદોના ઉસ્તાદ હતા.

  2. વિવેક said,

    August 24, 2014 @ 2:48 AM

    તક્તી આ મુજબ કરી શકાય:

    વર્ષોથી ‘ગની’ / નિજ અંતરમાં / એક દર્દ લઈ/ ને બેઠો છે
    ગાગાગાગા / ગાગાગાગા / ગાગાલલગા / ગાગાગાગા

    છો એનું તમે / ઔષધ ન બનો, / પણ દર્દ વધા / રો શા માટે ?
    ગાગાલલગા / ગાગાલલગા / ગાગાલલગા / ગાગાગાગા

  3. B said,

    August 24, 2014 @ 6:31 AM

    Gani chacha ne sakshaat Pranam. Aabehoob ghazal. Did anybody composed it ? I would like to hear.

  4. Dhaval Shah said,

    August 24, 2014 @ 11:47 PM

    જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે ?
    નૌકાને વળી લંગર કેવું ? સાગરને કિનારો શા માટે ?

    – વાહ !

  5. Pushpakant Talati said,

    August 25, 2014 @ 12:21 AM

    અફલાતૂન ગઝલ રચના. – ગનીચાચા એટલે ગનીચાચા.
    આઠે આઠ કડીઓ ઘણી જ ખુબસુરત તરહાસે સઝાઈ ગઈ હૈ

    તિર્થેશભાઈ; આ રચના અમારા સ્ય્ધી પહોઁચાદવા બદલ ઘણો જ આભાર. પણ મને લાગે છે કે ત્રીજી કડી – “મનદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી; તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે ?” – માં “મદમસ્ત” ને બદલે “મનદમસ્ત” ટાઈપ થયું હોય તેવુઁ લાગે છે.
    જો સાચુઁ હોય અને યોગ્ય લાગે તો જ જરુરી સુધારો કરશોજી.
    -પુષ્પકાન્ત તલાટી

  6. તીર્થેશ said,

    August 25, 2014 @ 1:55 AM

    thanks pushpkantbhai

  7. Monika said,

    October 26, 2015 @ 11:12 AM

    Never would have thunk I would find this so inaepsinsdble.

  8. ATUL MEHTA said,

    April 11, 2018 @ 6:52 AM

    મૃત્યુ એ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,
    અંધાર ન હો જ્યાં રજનીનો ,પૂજાય સવારો શા માટે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment