બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
મનોજ ખંડેરિયા

ઉદાસી – હર્ષદ ચંદારાણા

ઉપાડી સહજ એક ક્ષણની ઉદાસી
ખબર નહિ, હશે એક મણની ઉદાસી

નગરમાં બની એક જણની ઉદાસી
ફરે છે છડેચોક રણની ઉદાસી

ઉમેરે છે પીળાશ ચ્હેરામાં મારા
જરા ચીતરું જ્યાં પરણની ઉદાસી

છે જળનાં બધાં રૂપ : આનંદ, આનંદ
ફકત છે આ મૃગજળ હરણની ઉદાસી

છું તરસ્યો છતાં, જળ સુધી પ્હોંચવામાં
મને બહુ નડી છે ચરણની ઉદાસી

– હર્ષદ ચંદારાણા

ગઝલ આમ ઉદાસીની છે પણ વાંચતાવેંત પ્રફુલ્લિત પ્રફુલ્લિત કરી મૂકે એવી. એરિસ્ટોટલનો Katharsisનો સિદ્ધાંત યાદ આવી જાય. (ભીતરની લાગણીઓના ઉદ્રેકનું કળાના માધ્યમથી થતું શમન)

ફક્ત એક ક્ષણની ઉદાસી કવિ ઉપાડે છે. પણ ઉપાડે છે ને ખબર પડે છે કે આ તો એક મણની ઉદાસી છે. નગરમાં એક જણની ઉદાસી બનીને છડેચોક ફરતી રણની ઉદાસીવાળો શેર પણ એતલો જ મનનીય થયો છે.

4 Comments »

  1. nehal said,

    August 21, 2014 @ 4:04 AM

    ઉપાડી સહજ એક ક્ષણની ઉદાસી
    ખબર નહિ, હશે એક મણની ઉદાસી

    નગરમાં બની એક જણની ઉદાસી
    ફરે છે છડેચોક રણની ઉદાસી

    Saras…

  2. perpoto said,

    August 21, 2014 @ 9:25 AM

    રણ એટલે
    કણે કણે આનંદ
    સોનેરી રેતી

  3. Maheshchandra Naik (Canada) said,

    August 21, 2014 @ 1:34 PM

    ઉદાસીની વાતો સાથે કણે કણે આનદની રચના આનદ આપી ગઈ…………..

  4. Shah Pravinachandra Kasturchand said,

    August 21, 2014 @ 2:07 PM

    ભર્યો એક મણ ભાર તપાસી તપાસી
    કણેકણથી નીકળી ઉદાસી જ ઉદાસી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment