ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.
– રાહુલ શ્રીમાળી

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવા દૃશ્યને ફોડી શકે, તો ચાલ તું !
દૂર સન્નાટા સુધી દોડી શકે, તો ચાલ તું !

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે, તો ચાલ તું !

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું !

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે, તો ચાલ તું !

અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

– વંચિત કુકમાવાલા

બુદ્ધ થયા પછી પણ રાજકુમાર સિદ્ધાર્થ ફરી પોતાના ઘરે ભિક્ષા માટે પધારે છે એ પ્રસંગ સામે રાખીને વસ્ત્ર પાદર પર ઉતારી નાંખવાવાળો શેર ફરી વાંચીએ તો આખો સંદર્ભ બદલાઈ જતો નજરે ચડે છે… આપણો સંપૂર્ણ ત્યાગ પણ હકીકતમાં કેટલો અપૂર્ણ છે એ વિશે કવિએ કેવી સરસ ભાષામાં વાત કરી છે !

6 Comments »

  1. Rina said,

    March 22, 2014 @ 2:10 AM

    વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે,
    ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું !

    મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
    છેક અંદર ચીસને તોડી શકે, તો ચાલ તું !

    Waahhh

  2. perpoto said,

    March 22, 2014 @ 3:45 AM

    અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
    જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

    સુંદર કાવ્ય, પણ જ્યારે -અંત- શબ્દ ન રેહતાં અનુભુતિ બને ત્યારે જિવવાની ઘેલછા આપોઆપ ખરી પડે છે છોડવી નથી પડતી,અને ત્યાંજ બુધ્ધના શબ્દો વિષેની કવિની ભ્રમણા ઉઘાડી પડે છે….અને તેથી જ એકાદ બુધ્ધ સદીયોમા થાય છે…

  3. Laxmikant Thakkar said,

    March 22, 2014 @ 4:37 AM

    વંચિતભા હાણે આંકે ચોણું ખપે કે, આંકે હકીકતમેં ……કુરો અભિપ્રેત ?
    આંજી અમુક ક્રુતિયું “ચોટદાર” !

    perpoto said:- “અંત- શબ્દ ન રેહતાં અનુભુતિ બને ત્યારે જિવવાની ઘેલછા આપોઆપ ખરી પડે છે છોડવી નથી પડતી,અને ત્યાંજ બુધ્ધના શબ્દો વિષેની કવિની ભ્રમણા ઉઘાડી પડે છે….”….સહી ત આય!

    [ રમણીક સોમેશ્વર જે ઘરે પાણ ભેગા થ્યા વાસીં, ૨૪ નવેમ્બર,૨૦૧૩જે ડીં,11-12 વગેં ,યાદ અચેતો?]
    ======================================
    હર એક આવતી પળ …. ” જીવન્તતા”પૂર્વક પસાર કરવાની સહજ ત્રેવડ કેળવાય તો … તો ….. કામ થૈ જાય !એમ નથી લાગતું?” જીવવાની ઘેલછા” તો કેળવવી …
    કારણકે, એ તો , ” સેલ્ફ ઇવોલ્વિંગ=એવર-ગ્રોઈંગ ” છે જ સહજ છે. …..
    ***
    …..વિપરીત નજરિયો …..

    બંધન ?

    અરે ! હું છૂટતો કેમ નથી?
    આ મને બાંધ્યો કોણે આમ?
    સ્થળથી? સંબંધોથી? કાળથી? … આ પ્રશ્ન છે, તમારા ” અંત” વિશે !….?
    ***
    -લા’ કાંત / ૨૨.૩.૧૪

  4. suresh baxi said,

    March 22, 2014 @ 2:42 PM

    ખુબ સરસ રચના. અન્ત અને આગાઝ તો એક બિજાના પુરક હોઇ આવન જાવન કરે.

  5. Dhaval said,

    March 23, 2014 @ 6:42 PM

    અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
    જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

    સરસ !

  6. Harshad said,

    March 29, 2014 @ 8:40 PM

    સુન્દર રચના. સાથે જ દરેક ભાઇ બહેનના મન્ત્વ્યો પણ ખુબ જ ગમ્યા. કાશ હુ પણ સરસ ગુજરાતી ટાઇપ કરી શક્તો હોત્!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment